જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ કર્યુ ફાયરિગ, 4ના મોત, 7 ઘાયલ
જમ્મુ કાશ્મીરના રાજૌરીના ડાંગરી વિસ્તારમાં આતંકવાદીઓએ રવિવારે ગોળીબાર કર્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે 4 લોકોના મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી આપતા રાજૌરીની સંલગ્ન હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે જણાવ્યુ કે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે સેનાના જવાનોએ પણ ચાર્જ સંભાળી લીધો છે. જો કે હજુ સુધી આતંકીઓની ધરપકડ કરવામાં આવી નથી. સાથે જ જે હૉસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે ત્યાંના ડૉ. મહમૂદે જણાવ્યું કે ઘાયલોના શરીર પર ઘણી ગોળીઓના નિશાન જોવા મળ્યા છે.
શ્રીનગરમાં આર્મીના બંકર પર ગ્રેનેડ ફેંકાયો
માહિતી મુજબ શ્રીનગરમાં પણ આતંકીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંક્યો. જોકે ગ્રેનેડ રસ્તા પર પડ્યો હતો. જેના કારણે અનેક નાગરિકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સીઆરપીએફના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે.
કુપવાડામાં ભારે હથિયાર સાથે એકની ધરપકડ
કુપવાડામાં ભારે હથિયાર સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ હથિયાર ભારત વિરુદ્ધ ઉપયોગ માટે સપ્લાય કરવાના હતા. હાલ આ કેસના સંદર્ભમાં ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની કઠુઆ બૉર્ડર પર એક પાકિસ્તાની પતંગ ઝડપાયો હતો. આ પતંગમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એક પાકિસ્તાની સિલિન્ડર પણ મળી આવ્યુ હતુ. સિલિન્ડરની સાથે યુરિયા અને મોટી માત્રામાં વિસ્ફોટક પણ હતા.