મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો પાયો હલાવી શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા!
લોકસભાની ચૂંટણી 2019માં પોતાના ઈતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસનો આંતરિક કલેશ ચર્ચાનો મુદ્દો છે.
લોકસભાની ચૂંટણી 2019માં પોતાના ઈતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસનો આંતરિક કલેશ ચર્ચાનો મુદ્દો છે. આંતરિક કલેશનું સૌથી મોટુ ઉદાહરણ મધ્યપ્રદેશ છે. જ્યાં કોંગ્રેસ દોઢ દશકા બાદ જેમ-તેમ કરી સત્તામાં આવી છે અને શરૂઆતમાં જ પાર્ટીના નેતા તેના પાયા હલાવવામાં લાગી ગયા છે જેને જોતા લાગે છે કે કોઈ પણ ક્ષણે પાર્ટી વિખેરાઈ શકે છે.
મધ્યપ્રદેશનાા મુખ્યમંત્રી કમલનાથ અને ગુનાના પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે વિખવાદ વધતો જઈ રહ્યો છે. કમલનાથને ઘેરતા હવે સિંધિયાએ મઘ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફીને મુદ્દો બનાવ્યો છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ અને સિંધિયા વચ્ચેનો વિખવાદ એ વાતની પુષ્ટિ કરે છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં જૂથવાદ વધતો જઈ રહ્યો છે. સાથે જ વિરોધીઓનો સ્વર પણ બુલંદ છે. મધ્ય પ્રદેશના રાજકારણને લઈ છેલ્લા કેટલાક દિવસોથી કયાસ કઢાઈ રહ્યો છે કે એક વાર ફરી સિંધિયા રાજઘરોની ચાર દિવાલની અંદર પ્રદેશ કોંગ્રેસ સરકારના પતનની પટકથા રચી રહ્યા છે. કંઈક એવી જ પટકથા કે જે આશરે અડધી સદી પહેલા 1967માં પૂર્વ ગ્વાલિયર રિયાસતમાં મહારાણી રહી ચૂકેલી વિજયારાજે સિંધિયાએ રચી હતી.
વિજ્યારાજે પાડી હતી સરકાર
તમને જણાવી દઈએ કે જ્યોતિરાદિત્યની દાદી રાજમાતા વિજ્યારાજે તે સમયે કોંગ્રેસમાં હતી અને મધ્યપ્રદેશમાં દ્વારકા પ્રસાદ મિશ્રની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર હતી. યુવક કોંગ્રેસના એક જલસામાં ભાષણ કરતા ડીપી મિશ્રે રાજા-રજવાડાને લઈ એક તીખી કટાક્ષ કરી. જલસામાં હાજર વિજ્યારાજે સિંધિયાને આ કટાક્ષ ખૂબ વાગ્યો. તેમણે મિશ્રને સબક શીખવવાનું નક્કી કર્યુ. તેમણે મિશ્રના અસંતુષ્ટ કોંગ્રેસ સાંસદોને ટાર્ગેટ બનાવ્યા. એક સમયે મિશ્રની ખૂબ નજીક રહેલા ગોવિંદ નારાયણ સિંહને પણ પોતાના પક્ષે લાવવામાં તે સફળ થઈ ગઈ. ગોવિંદ નારાયણ સિંહ પણ વિધ્ય વિસ્તારની રીવા રિયાસત સાથે સંબંધ ધરાવતા હતા. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષ પણ પહેલી વાર સારી એવી સંખ્યામાં મેદાને હતો. જનસંધના 78 અને સોશલિસ્ટ પાર્ટીના 32 સાંસદ હતા. ઉપરાંત અપક્ષ અને અન્ય નાના દળોના સાંસદોને પણ વિજયારાજે પોતાના પક્ષે કરી લીધા હતા. જ્યારે કોંગ્રેસના 36 સાંસદો તેમની સાથે થઈ જતા તેમણે વિધાનસભામાં ડીપી મિશ્રની સરકારને પાડી દીધી. ડીપી મિશ્રની સરકાર પડ્યા બાદ ગોવિંદ નારાયણ સિંહના નેતૃત્વમાં સંયુક્ત વિધાયક દળની(સંવિદા) સરકાર બની. તે દેશની સૌથી પહેલી સંવિદા સરકાર હતી.
મધ્યપ્રદેશના રાજકારણની સ્થિતિ
હાલ મધ્યપ્રદેશના રાજકારણની સ્થિતિ પણ કંઈક આવી જ છે. વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના સંખ્યાબળની દ્રષ્ટિએ પણ અને સત્તારૂઢ દળના આંતરિક કલેશની દ્રષ્ટિએ પણ. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈ પાર્ટીના શીર્ષ નેતાઓ વચ્ચે જબરજસ્ત સંગ્રામ મચ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થકોના આક્રમક વલણને જોઈને લાગે છે કે રાજ્યમાં કોંગ્રેસ સરકારનું પતન નક્કી છે. મુખ્યમંત્રી બનવાની હોડમાં પાછળ રહી જતા અને લોકસભાની ચૂંટણી હારી ગયા બાદ સિંધિયા આ સમયે ભૂમિકાવિહિન છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે બનેલી તપાસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા, જો કે સિંધિયા આ જવાબદારીથી સંતુષ્ટ ન હતા. તે પોતાના ગૃહ પ્રદેશમાં કોંગ્રેસ સંગઠનના વડા અને રાજ્યમાં સત્તાનું બીજુ કેન્દ્ર બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે સત્તાનું બીજુ કેન્દ્ર બની તે રાજ્યમાં સત્તાનું પહેલુ કેન્દ્ર એટલે કે મુખ્યમંત્રી બની શકે છે.
ખેડૂતોની દેવામાફીથી કોંગ્રેસનું પતન
દિગ્વિજય સિંહના ભાઈ બાદ હવે ગુનાથી પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશ સરકારની દેવામાફી પર સવાલો ઉઠાવ્યા છે. સિંધિયાએ માન્યુ કે તેમની સરકારનો કરેલો દેવામાફીનો વાયદો સંપૂર્ણ પૂરોં થયો નથી. આ પહેલા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહે એક મોટુ નિવેદન આપતા કહ્યુ હતુ કે ખેડૂતો સાથે દગો થયો છે, જેથી રાહુલ ગાંધીએ ખેડૂતોની માફી માંગવી જોઈએ. મધ્યપ્રદેશમાં કમલનાથ અને સિંધિયા વચ્ચેની ટક્કર એ વાતને સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં ઉંડો જૂથવાદ છે ત્યાં જ વિરોધીના સ્વર ઉંચા છે. ત્યારે મહત્વનું છે કે મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા પર ફરી આવવા માટે કોંગ્રેસે જોશ જોશમાં દેવામાફીની વાત કહી દીધી છે.
રાજ્યમાં ખેડૂતો માટે કોંગ્રેસે દેવામાફી તો કરી પણ તે કેટલી થઈ તેનો કોઈ અંદાજો નથી. આ મામલે કોંગ્રેસે કોઈ આંકડો જારી કર્યો નથી. વિપક્ષ સતત આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી રહ્યો છે. પણ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથનું સામ સામે આવી જવું અને સિંધિયાનું કમલનાથ અને ગવર્નેસ પર સવાલ ઉઠાવવું એ બતાવી દે છે કે હાલ કોંગ્રેસ પાર્ટીની જેવી સ્થિતિ છે તેને જોતા એ દિવસ દૂર નથી કે કોંગ્રેસ દેશનો ભૂતકાળ બની જાય.
'અત્યારે નહિં તો ક્યારેય નહિં' ના જોશ સાથે સિંધિયા
બીજી તરફ સિંધિયા આ વખતે 'અત્યારે નહિં તો ક્યારે નહિં' કે 'કરો યા મરો'ના વલણ સાથે મેદાનમાં છે. તેમના સમર્થકો તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને આગળ જતા મુખ્યમંત્રીના પદે જોવા માંગે છે. જેને લઈ સિંધિયાના સાંસદો અને મંત્રીઓ આક્રમક મુડમાં છે. હાલ તો સિંધિયા પાર્ટીની નીતિઓથી નારાજ છે. ત્યારે પાર્ટીએ આત્મ અવલોકન કરીને સ્થિતિમાં સુધારો લાવવો જોઈએ. સિંધિયા અને તેમના સમર્થકોનું વલણ જોઈને લાગે છે કે તેઓ પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસથી અલગ થઈ કમલનાથની સરકારને પાડી શકે છે. કહેવાઈ રહ્યુ છે કે સિંધિયા અલગ થઈ ક્ષેત્રીય પાર્ટીની રચના કરી ભાજપનું સમર્થન કરી શકે છે.
પોસ્ટરમાં મોદી-શાહ સાથે સિંધિયા
મધ્યપ્રદેશના ભિંડમાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું એક પોસ્ટર ચર્ચામાં છે. આ પોસ્ટરમાં સિંધિયાની તસ્વીર સાથે પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહની તસ્વીર છે. આ પોસ્ટર બીજેપીના સ્થાનીય નેતાએ સિંધિયાને કલમ 370 પર સમર્થન માટે લગાવ્યુ છે. આ પોસ્ટર એ સમયે આવ્યુ જ્યારે સિંધિયાની નારાજગીની ખબરો ચર્ચામાં છે.
આ પણ વાંચો: અમારી અને ગાંગુલી વચ્ચે કોઈ ડીલ નથી અને ના અમે તેમને અધ્યક્ષ બનાવ્યાઃ અમિત શાહ