કૈરાનામાં હિટ થયો વિપક્ષનો નારો, શેરડી આગળ ના ચાલ્યા ઝીણા
પશ્ચિમ ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટથી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને પૂર્વ પ્રધાનમંત્રી ચરણ સિંહના પત્ની ગાયત્રી દેવી પણ સાંસદ રહી ચૂક્યા છે.
પશ્ચિમ ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટથી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને પૂર્વ પ્રધાનમંત્રી ચરણ સિંહના પત્ની ગાયત્રી દેવી પણ સાંસદ રહી ચૂક્યા છે પરંતુ આ પેટાચૂંટણી કદાચ 1980 બાદ સૌથી વધુ ચર્ચામાં છે. 1980 માં ગાયત્રીદેવી અને મોટા ગુર્જર નેતા બાબુ નારાયણ સિંહ ચૂંટણી લડ્યા હતા અને સીટ પર આખા દેશની નજર હતી. 14 સીટો પર દેશમાં ચૂંટણી થઈ રહી હતી પરંતુ બધાની નજરો કૈરાના પર હતી. આ ચૂંટણીમાં સૌથી ખાસ વાત એ રહી કે રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) જ્યાં શેરડી, વિજળીના બિલ અને બીજા મુદ્દાઓ પર ચૂંટણી લડતા રહ્યા, ત્યાં ભાજપ પીએમ મોદી, સીએમ યોગીનો ચહેરો, હુકુમ સિંહના મોતની સહાનુભુતિ અને 2013 ના હુલ્લડોની યાદ અપાવીને ચૂંટણી લડતી રહી. આ શેરડી(મુદ્દાઓ) અને ઝીણા (સાંપ્રદાયિકતા) વચ્ચેની ચૂંટણીમાં ઝીણા પર શેરડી ભારે પડી.
જયંતે બનાવ્યો શેરડીને મુદ્દો
પેટાચૂંટણીના એલાન બાદ કૈરાના સીટ વિપક્ષ તરફથી રાલોદના ખાતામાં આવ્યા બાદ પક્ષના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ પ્રચારની કમાન સંભાળી. જયંતે પહેલા દિવસથી જ ક્ષેત્રના ખેડૂતો અને વિજળીના બિલોને મુદ્દો બનાવ્યો હતો. હાલમાં જ ભાજપ સરકારે પ્રદેશમાં વિજળીનું બિલ વધાર્યુ છે જે મુદ્દો જયંતે સતત ઉઠાવ્યો. સીએમ યોગીએ શામલીમાં સભામાં હુલ્લડોનો ઉલ્લેખ કર્યો અને એ પણ કહ્યુ કે તે ઝીણાની તસવીર નહિ લગાવવા દે પરંતુ તેના પર જયંત ભારે પડ્યા. જયંત સતત એ કહેતા રહ્યા કે કોઈ પણ કેટલુ પણ ભાગલા પાડે તમારે શેરડી પર ટકી રહેવાનું છે અને પરિણામ કહે છે કે માત્ર જાટ જ રાલોદ તરફ નથી વળ્યા પરંતુ મુસલમાન, દલિત અને નીચલી જાતિઓના મત પણ ભાજપથી તૂટ્યા છે અને ગઠબંધન પાસે આવ્યા છે.
શેરડીની ચૂકવણી બન્યુ મોટો મુદ્દો
જયંતે કૈરાનામાં સતત કહ્યુ કે આખા ઉત્તરપ્રદેશની વાત છોડી દઈએ તો કૈરાના લોકસભામાં જ ખેડૂતોના 1000 કરોડ રૂપિયા બાકી છે જેનો ભાજપ જવાબ આપે. ભાજપે 14 દિવસમાં ચૂકવણીનું વચન આપ્યુ હતુ જેના પર જયંત સવાલ કરતા રહ્યા. ભાજપ જે ચૂકવણી થઈ તેના આંકડા સતત આપતુ રહ્યુ પરંતુ જયંત બાકી ચૂકવણીનો મામલો ઉઠાવતા રહ્યા જે ભાજપ પર ભારે પડ્યો.
ઝાકમઝોળ પર ભારે પડ્યા સ્થાનિક મુદ્દા
કૈરાનામાં પેટાચૂંટણી હતી પરંતુ જો તમે ભાજપનો આખો ચૂંટણી પ્રચાર જોશો તો તેમની પાસે કોઈ મુદ્દો હતો જ નહિ, બધા જાટ નેતા જાટ મતદારોને 2013 ના હુલ્લડોના નામ પર મત માંગતા રહ્યા. જયંત સતત જૂની વાતોને ભૂલીને આગળ વધવાની વાત કરતા રહ્યા. 2014 અને 2017માં પણ ભાજપ માટે આ ક્ષેત્રમાં હુલ્લડો મહત્વનો મુદ્દો રહ્યો હતો પરંતુ આ વખતે તે બહુ સફળ રહી શક્યુ નહિ. એક તરફ સીએમ યોગીએ મોટી રેલીઓ કરી તો વિપક્ષે કોઈ મોટી રેલી કરી નહિ. જયંત કોઈ સુરક્ષા વિના ચાર-ચાર પાંચ-પાંચ કાર્યકર્તાઓને સાથે લઈને સતત ગામેગામ જઈને લોકોને મળતા રહ્યા. ભાજપના નેતા મોદીના દેશ વિદેશમાં લોકપ્રિય હોવાની વાત કહેતા રહ્યા તો જયંતે ટ્રેક્ટરને કોમર્શિયલ વાહનની શ્રેણીમાં રાખવા પર સવાલ કર્યા. વિજળીના બિલ વધારવા પર સવાલ કર્યા. આ સરકારના આવ્યા બાદ પશુઓનું ખરીદ-વેચાણ ઓછુ થવાને કારણે રખડતા પશુઓ દ્વારા પાકને નુકશાન પહોંચાડવા પર સવાલ કર્યા. આ બધા મુદ્દા ભલે દૂરથી નાના લાગે પરંતુ ક્ષેત્રના લોકો માટે બહુ મોટા છે અને તેમણે આ બધા પર મત આપ્યા.