કૈરાનામાં ભાજપને ભારે પડ્યુ સીએમ યોગીનું આ નિવેદન
રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે કૈરાનામાં આયોજિત એક જનસભામાં સીએમ યોગી આદિત્યનાથનું એક ભાષણ ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.
પશ્ચિમ યુપીની બહુચર્ચિત સીટ કૈરાના પર વિપક્ષની એકતા સામે ભાજપે હારનો સામનો કરવો પડ્યો. કૈરાનામાં સપા-બસપા અને કોંગ્રેસના સમર્થન સાથે રાલોદની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરીને તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહને લગભગ 45 હજાર મતોથી મ્હાત આપી દીધી છે. ફૂલપુર અને ગોરખપુર જેવી મોટી સીટો ગુમાવ્યા બાદ કૈરાનામાં હારથી ભાજપ વર્તુળમાં દુઃખનો માહોલ છે. રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે કૈરાનામાં આયોજિત એક જનસભામાં સીએમ યોગી આદિત્યનાથનું એક ભાષણ ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.

શું હતુ સીએમ યોગીનું એ નિવેદન?
ફૂલપુર અને ગોરખપુરમાં હાર બાદ કૈરાનાની સીટ બચાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે ત્યાં જનસભાઓ કરીને વિપક્ષી દળો પર ખૂબ પ્રહારો કર્યા. આ દરમિયાન શામલીમાં આયોજિત પોતાની છેલ્લી ચૂંટણી રેલીમાં સીએમ યોગીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ કે, "કૈરાનામાં આજે પિતા-પુત્ર પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મતોની ભીખ માંગી રહ્યા છે." આ નિવેદનનો ઈશારો રાલોદ પ્રમુખ ચૌધરી અજીત સિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી તરફ હતો. સીએમ યોગી આદિત્યનાથના આ નિવેદનથી જાટોમાં ખોટો સંદેશ ગયો.

અને બદલાઈ ગયા કૈરાનાના સમીકરણ
જાટોને આ વાત યોગ્ય ના લાગી કે બીજી જાતિનો એક વ્યક્તિ જાટોના નેતા વિશે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે. કૈરાનામાં મોટી સંખ્યામાં જાટ મતદારો છે. જેમણે મુઝફ્ફરનગર હુલ્લડો બાદ 2014ની લોકસભા ચૂંટણી અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકતરફી સમર્થન આપ્યુ હતુ. આ નિવેદનથી જાટો ભાજપથી નારાજ થયા અને અજીત સિંહ અને જયંત ચૌધરી પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ અને સમીકરણ ભાજપની વિરોધમાં થઈ ગયુ. રાજકીય વિશેષજ્ઞોનું કહેવુ છે કે કૈરાના પેટાચૂંટણીમાં સીએમ યોગીનું આ નિવેદન ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.

રાલોદ માટે કેમ ખાસ છે કૈરાના?
તમને જણાવી દઈએ કે કૈરાના સીટ રાલોદનો જૂનો ગઢ છે. 2014 અને 2009ની લોકસભા ચૂંટણી પહેલા કૈરાના સીટ પર સતત 10 વર્ષ સુધી રાલોદનો કબ્જો રહ્યો છે. જાટોના સર્વમાન્ય નેતા ચૌધરી ચરણ સિંહની પત્ની ગાયત્રી દેવી પણ કૈરાનાથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે આ સીટ પરથી ચૌધરી અજીત સિંહના પુત્ર જયંત ચૌધરી ચૂંટણી લડવા ઈચ્છતા હતા પરંતુ જ્યારે વાત ન બની ત્યારે તેમણે રાલોદના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો પૂરો દમ લગાવી દીધો.












Click it and Unblock the Notifications
