Kanjhawala Case: ગૃહ મંત્રાલયે પોલીસને આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવા કહ્યુઃ સૂત્ર
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્લીના ચકચારી કાંઝાવાલા કેસમાં આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવા ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે.
Kanjhawala Case: દિલ્લીના કાંઝાવાલામાં ન્યૂ યરની રાતે જે રીતે કાર સવાર યુવકોએ 20 વર્ષીય યુવતીને કાર નીચે ઘણા કિલોમીટર સુધી ઢસડીને મારી નાખી તે બાદ આરોપીઓ સામે કડક સજાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે દિલ્લી પોલીસને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ. તપાસ સમિતતિએ આ બાબતે પોતાનો જે રિપોર્ટ નોંધ્યો છે તેનુ સંજ્ઞાન લઈને ગૃહ મંત્રાલયે આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવા માટે કહ્યુ છે. તપાસ સમિતિની અધ્યક્ષતા સ્પેશિયલ કમિશ્નર શાલિની સિંહે કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ગુનાની પ્રકૃતિ અને ઉપલબ્ધ પુરાવાના આધારે પોલીસે આ મામલાની તપાસ કલમ 302 હેઠળ કરવી જોઈએ. આ ઘટના સામે આવ્યા પછી જે રીતે લોકોએ તેનો વિરોધ કર્યો તે પછી ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા હતા. ગૃહ મંત્રાલયે દિલ્લી પોલીસને એ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે જેમણે તે રાત્રે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી ન હતી. ગૃહ મંત્રાલયે દિલ્લી પોલીસને ત્રણ પીસીઆર વાનમાં તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા જણાવ્યુ હતુ.
ગૃહ મંત્રાલયે પોલીસને નોટિસ જાહેર કરીને પીસીઆર વેનની દેખરેખ રાખનારા સુપરવાઈઝર અને અન્ય પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યુ છે તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીએ 20 વર્ષીય અંજલિનુ રોડ અકસ્માતમાં મોત થયુ હતુ. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે યુવતીની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી. જેના પછી અંજલિ કારમાં ફસાઈ ગઈ હતી અને કાર સવારો તેને ઘણા કિલોમીટર સુધી ઢસડતા રહ્યા હતા. જેના કારણે યુવતીનુ મોત થયુ હતુ.
દિલ્લીના આ ચકચારી કેસના સમગ્ર દેશમાં પ્રત્યાઘાતો પડ્યા હતા. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસનુ કહેવુ છે કે આરોપીને ખબર હતી કે છોકરી કારમાં ફસાઈ ગઈ છે તેમ છતાં આ લોકો તેને ઢસડતા રહ્યા. ગૃહ મંત્રાલયે દિલ્લી પોલીસને કહ્યુ કે તે ઘટના વિસ્તારના ડીસીપી પાસેથી ખુલાસો માંગે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરે. કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા પગલાં લેવાની જરૂર છે જેથી લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો નિર્ભય વાતાવરણમાં જીવી શકે. તમને જણાવી દઈએ કે અંજલિ એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. ન્યૂ યરની રાતે તે તેની ફ્રેન્ડ નિધિ સાથે પોતાની સ્કૂટીમાં પાર્ટીમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બલેનો સવારોએ તેને ટક્કર મારી અને તેને ઘણા કિલોમીટર સુધી ઢસડતા રહ્યા અને તેનુ મોત થયુ.












Click it and Unblock the Notifications
