Kanjhawala Case: ન્યૂ યરની રાતે આખરે કેમ 10 પોલીસ ગાડીઓ પણ ન પકડી શકી બલેનો કારને?
ન્યૂ યરની રાતે શહેરમાં વધુ પોલીસ બળ તૈનાત હોય છે તેમછતાં આટલા કિલોમીટર સુધી દિલ્લીના રસ્તાઓ પર યુવતી ઢસડાતી રહી પરંતુ પોલીસની એક પણ ગાડી આ ભયાનક ઘટનાને રોકી ના શકી. આવુ કેવી રીતે બની શક્યુ.
Kanjhawala Case: દિલ્લીમાં 20 વર્ષીય યુવતી અંજલિને કાર સવારોએ ઘણા કિલોમીટર સુધી ઢસડીને મારી દેવાના કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. મહત્વની વાત એ છે કે ન્યૂ યરની રાતે શહેરમાં વધુ પોલીસ બળ તૈનાત હોય છે તેમછતાં આટલા કિલોમીટર સુધી દિલ્લીના રસ્તાઓ પર યુવતી ઢસડાતી રહી પરંતુ પોલીસની એક પણ ગાડી આ ભયાનક ઘટનાને રોકી ના શકી. દિલ્લી પોલીસને આના પર ઉઠી રહેલા સવાલોના જવાબ આપવા અઘરા પડી રહ્યા છે.
પોલીસનો તર્ક
પીસીઆર વાન, નાઇટ પેટ્રોલિંગ યુનિટ્સ સહિત ઓછામાં ઓછા 10 પોલીસ વાહનો, જ્યાં ઘટના બની તે વિસ્તારમાં તૈનાત હતા, પરંતુ તેમાંથી કોઈએ પણ બલેનોને જોઈ નહોતી જેણે અંજલિને ઘણા કિલોમીટર સુધી રસ્તા પર ઢસડી હતી. આટલા મોટા અકસ્માતને અંજામ આપ્યા બાદ આરોપી બલેનો કાર લઈને ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેને રોકી શકી નથી. સૂત્રોનુ કહેવુ છે કે ગાઢ ધુમ્મસના કારણે પોલીસ કારને ટ્રેસ કરી શકી નથી. અહેવાલો મુજબ આરોપીઓ સુલતાનપુરીથી કાંઝાવાલા મુખ્ય માર્ગને બદલે સાંકડા રસ્તાઓથી ગયા, જેના કારણે પોલીસ તેમને જોઈ શકી નહિ.
અંજલિનો પરિવાર નિધિને નથી જાણતો
આ ઘટના સામે આવ્યા બાદ આવા અનેક દાવા કરવામાં આવ્યા છે જેના પર સવાલો ઉઠી રહ્યા છે. અકસ્માતની રાત્રે તેની સાથે રહેલી અંજલિની મિત્ર નિધિએ દાવો કર્યો હતો કે અકસ્માત સમયે અંજલિ નશામાં હતી અને તેણે તેને સ્કૂટી ચલાવવા માટે દબાણ કર્યુ હતુ. બીજી તરફ અંજલિના પરિવારનુ કહેવુ છે કે તેઓએ ક્યારેય અંજલી પાસેથી ક્યારેય નિધિનુ નામ સાંભળ્યું નથી. અંજલિની માતા રેહા દેવીએ કહ્યુ કે અંજલિએ ક્યારેય દારૂ પીધો નથી, તે ક્યારેય નશામાં ઘરે આવી નથી. નિધિએ પોલીસને જણાવ્યુ છે કે આ પહેલીવાર છે જ્યારે બંને રાત્રે સાથે પાર્ટીમાં ગયા હતા. નિધિએ કહ્યુ કે તે અંજલીને 15 દિવસથી ઓળખે છે.
અંજલિએ દારુ નહોતો પીધો
અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ અંજલિ અને નિધિ ક્યારેય હોટલમાં પાર્ટી કરવા ગયા નથી. હોટલમાં અંજલિ અને નિધિના નામે રૂમ બુક કરાવ્યો હતો. આ લોકોના આધાર કાર્ડ હોટલને આપવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે હોટલમાં પાર્ટી દરમિયાન બંનેએ 7 છોકરાઓ સાથે વાત કરી હતી. અંજલિના ફેમિલી ડૉક્ટરે બુધવારે જણાવ્યુ કે નિધિએ અંજલિ વિશે ખોટુ બોલ્યુ કે તેણે દારૂ પીધો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં અંજલિના પેટમાં દારૂના ટ્રેસ મળ્યા નથી.
અંતિમ સંસ્કાર પછી કેમ સામે આવી નિધિ?
ન્યૂ યરની રાતે અકસ્માતના બે દિવસ બાદ અંજલિની મિત્ર નિધિ મીડિયાની સામે કેમ આવી તે એક મોટો પ્રશ્ન છે. નિધિએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી ન હતી. અકસ્માત બાદ તે તેના ઘરે જતી રહી, જેના પર અંજલિના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા છે. આખરે અંજલિના અંતિમ સંસ્કાર પછી જ નિધિ કેમ સામે આવી. જો તે ડરતી હતી તો હવે કેમ નથી ડરતી. અંજલિના કાકા કહે છે કે આ નિધિનુ કાવતરુ છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે અકસ્માત થયા બાદ તરત જ નિધિ રાતે 2.30 વાગે તેના ઘરે આવી ગઈ હતી.
10 પીસીઆર વેન પણ ન પકડી શકી બલેનો કાર
અકસ્માત બાદ પોલીસ કંટ્રોલ રૂમને અનેક કૉલ કરવામાં આવ્યા હતા, જેના પગલે ત્રણ પીસીઆર વાન કંઝાવાલા, હોશામ્બી બોર્ડર અને અમન વિહાર વચ્ચે દોડી રહી હતી. કુલ 10 પીસીઆર વાન ફરજ પર હતી પરંતુ અનેક ફોન કરવા છતાં પણ આ પોલીસ પીસીઆર વાન એ વાહનને ટ્રેસ કરી શકી ન હતી જેમાં અંજલિનું મોત થયુ હતુ. પોલીસ વાનને ક્ષતિગ્રસ્ત સ્કૂટી મળી પણ ત્યાં કોઈ નહોતુ, પોલીસને લાગ્યુ કે તેઓ કદાચ હૉસ્પિટલ ગયા હશે. અકસ્માતના 12 કલાક બાદ પોલીસને રવિવારે બપોરે બલેનો કાર મળી આવી હતી.