કરકરડૂમા મેટ્રો સ્ટેશનમાં ગોળીબાર કરનારે આપઘાત કરી
આરોપીના મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મુરાદનગર દોડી ગયા છે. આરોપીનું નામ પવન કુમાર છે. એણે મંગળવારે બપોરે કડકડડૂમા સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે એક એસ્કેલેટર પર તેની પત્ની દિપ્તી અને સસરા બિશન દાસ પર ગોળીબાર કર્યો હતો. એમાં દિપ્તીનું મરણ થયું છે જ્યારે બિશન દાસ આઈસીયૂમાં છે અને એમની હાલત ગંભીર છે. પવન કુમાર ગોળીબાર કર્યા બાદ તેની પિસ્તોલ ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. પોલીસને પાંચ ખાલી કારતૂસ મળી આવ્યા હતા.
એ પિસ્તોલ પવનના પિતાની છે. એ દિલ્હી સરકારના નિવૃત્ત કર્મચારી છે. એમણે કહ્યું છે કે એમણે પોલીસને મંગળવારે સવારે ફોન કરીને જાણ કરી હતી કે એમની પિસ્તોલ ગૂમ થઈ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગોળીબારના બનાવ પાછળ વૈવાહિક જીવનનો વિવાદ છે. પતિ-પત્ની વચ્ચે પ્રોપર્ટીને લગતા એક વિવાદમાં કોર્ટ સુનાવણી પૂરી થયા બાદ પવન કોર્ટમાંથી તેની પત્ની અને સસરાનો પીછો કરતો ગયો હતો. બંનેનાં લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. દિપ્તીએ પવન વિરુદ્ધ અગાઉ મારપીટની ફરિયાદ પણ નોંધાવી હતી.