કર્ણાટક સંગ્રામઃ વિશ્વાસમત જિતવામાં આંકડાનું ગણિત કોની બાજી બગાડશે ?
સુપ્રીમ કોર્ટેના આદેશ પ્રમાણે કર્ણાટકમાં સરકાર બનાવી ચૂકેલા ભાજપના બીએસ યેદિયુરપ્પાને આજે વિધાનસભામાં બહુમતિ પુરવાર કરવી પડશે.
સુપ્રીમ કોર્ટેના આદેશ પ્રમાણે કર્ણાટકમાં સરકાર બનાવી ચૂકેલા ભાજપના બીએસ યેદિયુરપ્પાને આજે વિધાનસભામાં બહુમતિ પુરવાર કરવી પડશે. સુપ્રીમ કોર્ટે શનિવારે સાંજે 4 વાગ્યા પહેલા ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. તેની પહેલા રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પા સરકારને શપથ ગ્રહણ બાદ બહુમત પરિક્ષણ માટે 15 દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ભાજપ-કૉંગ્રેસ અને જેડીએસની તાકાતના આજે વિધાનસભામાં પારખાં થશે, ત્યારે, 112ના જાદુઈ આંક સુધી પહોંચવું ભાજપ માટે ખરાખરીનો જંગ બની ગયો છે.
બહુમતી માટે 112 જાદુઈ આંકડો જરૂરી
કર્ણાટક વિધાનસભામાં 222 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. એટલે કે બહુમત માટે 112 સીટની જરૂર હતી. બીજેપીના 104 ધારાસભ્યો જીત્યા છે. જેડીએસના 37 અને કોંગ્રેસના 78 ધારાસભ્યો અને 3 અન્યએ જીત મેળવી હતી. એટલે કે બહુમત સાબિત કરવા માટે બીજેપીને હજુ પણ 8 ધારાસભ્યોની જરૂરત પડશે. જેડીએસના કુમારસ્વામી બે બેઠકો પરથી જીતીને ધારાસભ્ય બન્યા છે.
કૉંગ્રેસ-જેડીએસને હોર્સ ટ્રેડીંગનો ભય
કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યોને ભાજપ દ્વારા હોર્સ ટ્રેડીંગથી બચાવવા માટે હૈદરાબાદ ખસેડ્યા હતા અને ત્યાંની હોટલમાં રાખ્યા હતા. પરંતું, આજે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ફ્લોર ટેસ્ટ કરવાનો હોવાથી તમામ ધારાસભ્યોને બેંગાલુરૂ પરત લાવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસનો તેમની પાસે 117 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી રહ્યા છે.
ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર રહી બગાડી શકે ખેલ
તો બીજી તરફ ભાજપ પણ તેમની પાસે બહુમત હોવાનો દાવો કરી રહી છે. પાર્ટીના આ દાવા પાછળ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. આવું ત્યારે જ થઈ શકશે, જ્યારે ફ્લોર ટેસ્ટ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના ઘણા ધારાસભ્યો ગેરહાજર રહે. અથવા પક્ષના વ્હીપની વિરુદ્ધ મતદાન કરે. આ સંખ્યા પણ ઓછામાં ઓછી 14 હોવી જોઈએ. વિધાનસભામાં ઉપસ્થિતિના આધાર પર બીજેપી આ સ્થિતિમાં કેવી રીતે સરકાર બનાવશે તેના પર સૌની મીટ રહેશે.
કૉંગ્રેસના સાત ધારાસભ્યો બગાડી શકે પરીણામ
ભાજપ બહુમત માટે જરૂરી જાદુઈ આંક હાંસલ કરવા માટે જેડીએસ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પર નજર રાખી રહી છે. જેમને ફ્લોર ટેસ્ટ દરમિયાન સદનમાં ગેરહાજર રાખીને ભાજપ પોતાના માટે પરિસ્થિતિ અનૂકુળ બનાવી શકે છે. મિડીયા રિપોર્ટ પ્રમાણે લિંગાયત સમુદાયથી આવનારા કોંગ્રેસના 7 જેટલા વિધાયકો ગેરહાજર રહી શકે છે. તો, ભાજપ માટે સરકાર બનાવવી સાનુકૂળ થઈ શકે છે.
કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે પુરતું સંખ્યાબળ હોવાનો દાવો
કોંગ્રેસ જેડીએસના નેતા એચ.ડી કુમારસ્વામીને પોતાનું સમર્થન આપી ચુકી છે. કૉંગ્રેસના ટેકાથી કુમારસ્વીમી CM બનવા માંગે છે. જે વોક્કાલિગા સમુદાયથી છે. યેદિયુરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે અને સતત લિંગાયત મઠો દ્વારા કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યોને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તે સિવાય બીજેપીની નજર નિર્દલીય ધારાસભ્યો અને એક બસપાના ધારાસભ્ય પર પણ છે. હાલમાં આ બધા કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં હોવાનું દેખાઈ રહ્યા છે. ત્યારે, હાલમાં કૉંગ્રેસ જેડીએસની તરફેણમાં દેખાઈ રહેલાં જાદુઈ આંકને ભાજપ પોતાની તરફ કરવા રાજનીતિક પ્રયાસ કરી રહ્યુ છે.