કર્ણાટક હિજાબ વિવાદઃ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન 16 ફેબ્રુઆરીથી ખુલશે પ્રી-યુનિવર્સિટી અને ડિગ્રી કૉલેજો
કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ વચ્ચે રાજ્ય સરકારે 16 ફેબ્રુઆરીથી ફરીથી કૉલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે.
બેંગલુરુઃ કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ વચ્ચે રાજ્ય સરકારે 16 ફેબ્રુઆરીથી ફરીથી કૉલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે સોમવારે જણાવ્યુ છે કે 11માં, 12માંની કૉલેજ અને ડિગ્રી કૉલેજો બુધવારથી ફરીથી ખુલશે. રાજ્યમાં ધોરણ 1થી 10 સુધીની સ્કૂલો સોમવાર, 14 ફેબ્રુઆરીથી ખુલી ગઈ છે. રાજ્યની ઘણી કૉલેજોાં મુસ્લિમ બાળકીઓને હિજાબ પહેરીને આવવાથી રોકવા અને આના પરના વિવાદ બાદ સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી હતી.
રાજ્યમાં હિજાબને લઈને ચાલી રહ્યો છે વિવાદ
કર્ણાટકમાં ગયા મહિને, જાન્યુઆરીમાં ઉડુપીની પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં અમુક છાત્રાઓને હિજાબ પહેરવાના કારણે ક્લાસરુમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ આ છાત્રાઓ ક્લાસરુમ સામે જ બેસી ગઈ હતી. ત્યારબાદ રાજ્યની ઘણી બીજી કૉલેજોમાં પણ આવુ જોવા મળ્યુ. જેના પર છાત્રાઓએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. જેના કારણે આ મામલો કર્ણાટક જ નહિ પરંતુ આખા દેશમાં ચર્ચામાં છે.
હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
આ મામલો હાઈકોર્ટમાં પણ છે. ઉડુપીની એક છાત્રા રેશમાંએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેણે હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી માંગી છે. કોર્ટ આના પર સુનાવણી કરી રહ્યુ છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રિતુરાજ અવસ્થી, જસ્ટીસ કૃષ્ણા એક દીક્ષિત અને જસ્ટીસ જેએમ ખાજીની બેંચ કેસની સુનાવણી કરી રહી છે.