lakhimpur kheri violence case : UP સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું - નિવૃત્ત જજ તપાસનું મોનિટરિંગ કરશે
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના સ્ટેટસ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી.
lakhimpur kheri violence case : ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના સ્ટેટસ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ પર ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રિપોર્ટમાં વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હોવાનું કહેવા સિવાય કંઈ જ નથી. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હેમા કોહલીની બેચ આ કેસની સુનાવણી કરી રહી છે.
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વકીલ હરીશ સાલ્વેને સવાલ કરતા CJIએ કહ્યું કે, તમારા સ્ટેટસ રિપોર્ટમાં કંઈ નથી. તમને દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કામ થયું નથી. હજૂ સુધી ન તો લેબ રિપોર્ટ આવ્યો છે કે ન તો આરોપીના સેલ ફોનની માહિતી મળી છે.
હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસની ગતિ અમારી અપેક્ષા કરતા ઘણી ધીમી છે. અમને લાગે છે કે, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. જેઓ આ કેસની તપાસની દૈનિક ધોરણે દેખરેખ કરશે. જેથી કેસમાં બાબતો સામે આવી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તપાસની દેખરેખ માટે અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરીશું. બંને એફઆઈઆરની અલગ-અલગ તપાસ અને ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. નિવૃત્ત ન્યાયાધીશને તેની દેખરેખ રાખવાની છૂટ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે બે નિવૃત્ત ન્યાયાધીશોના નામ સૂચવ્યા છે, જસ્ટિસ રણજીત સિંહ, પંજાબ હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રાકેશ કુમાર. આ કેસની આગામી સુનાવણી શુક્રવારના રોજ એટલે કે 12 નવેમ્બરના રોજ થશે.
ગત સુનાવણી પર પણ યુપી સરકારને મળ્યો હતો ઠપકો
લખીમપુર ખેરીની ઘટનાની ગત સુનાવણી 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. તે સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી હતી, સાક્ષીઓના નિવેદનો નોંધવામાં વિલંબની વાત કરી અને તેને ઝડપી લેવા જણાવ્યું હતું. એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, ઘટના સમયે સેંકડો લોકો હાજર હતા ત્યારે માત્ર 23 સાક્ષીઓ કેમ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેમને સાક્ષીઓના નિવેદનો ઝડપથી નોંધવા જણાવ્યું હતું.
3 ઓક્ટોબરના રોજ બની હતી આ ઘટના
ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના ટિકુનિયા ગામમાં 3 ઓક્ટોબરના રોજ હિંસા અને આગચંપીમાં આઠ લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર અને અન્ય ત્રણ ભાજપના કાર્યકર્તાનો સમાવેશ થાય છે. લખીમપુર ખેરીના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર આ કેસમાં હત્યાનો આરોપ છે. તેના પર ખેડૂતોને વાહન ચલાવીને મારવાનો આરોપ છે. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પણ આરોપી છે. અત્યાર સુધી પોલીસે આશિષ મિશ્રા સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે.