ગુજરાત ચૂંટણી: કોંગ્રેસ તરફથી પ્રચાર કરવા માંગે છે લાલુ પ્રસાદ યાદવ
આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પોતાનું કદ દેખાડવા માટે આતુર. કોંગ્રેસ દ્વારા તેમના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં.
આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પોતાનું કદ દેખાડવા માટે આતુર છે, પરંતુ આ માટે કોંગ્રેસ હામી ભરે એની તેઓ રાહ જોઇ રહ્યાં છે. વાત એમ છે કે, લાલુ પ્રસાદ યાદવ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રચાર કરવાની ઇચ્છા જાહેર કરી છે. હવે એ કોંગ્રેસે નક્કી કરવાનું છે કે, તેઓ લાલુ પ્રસાદ યાદવ પાસે પ્રચાર કરાવવા માંગે છે કે કેમ. સોમવારે પટનામાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, તેઓ ભાજપને હરાવવા માટે ગુજરાતમાં પણ પ્રચાર કરી શકે છે, જો કોંગ્રેસ પાર્ટી આ માટે તેમને આમંત્રિત કરે તો!
ગુજરાતની ચૂંટણીમાં આરજેડી સુપ્રીમો કોંગ્રેસને મત અપાવી શકશે કે કેમ એ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવ પોતાની કળાથી ભીડ તો ચોક્કસ એકઠી કરી શકે છે. હવે જોવાનું એ છે કે, કોંગ્રેસ પણ પોતાના મહત્વપૂર્ણ સહયોગીની ઇચ્છાને એટલી જ ગંભીરતાથી લે છે કે કેમ! લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે, ભાજપને હરાવવા માટે તેઓ દરેક જગ્યાએ પ્રચાર કરવા તૈયાર છે. જો કે, ગુજરાતના રાજકારણમાં તેમની એટલી પકડ નથી. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ અલગ હોવા વિશે તેમણે કહ્યું કે, ગુજરાત જ કેમ, બિહારમાં પણ ભાજપ અને જેડીયુ અલગ-અલગ ચૂંટણી લડશે. થોડા જ દિવસમાં બંનેના રસ્તા અલગ થઇ જશે, બંનેનું ગઠબંધન સ્થાયી નથી.