Lakhimpur Kheri violence : કાયદા મંત્રી હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાના પરિવારને મળ્યા
રાજ્યના કાયદા મંત્રી બ્રિજેશ પાઠકે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર શુભમ મિશ્રા અને કાર ચાલક હરિઓમના પરિવારોની મુલાકાત લીધી હતી.
Lakhimpur Kheri violence : રાજ્યના કાયદા મંત્રી બ્રિજેશ પાઠકે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર શુભમ મિશ્રા અને કાર ચાલક હરિઓમના પરિવારોની મુલાકાત લીધી હતી. બીજી તરફ આ કેસમાં SIT એ અંકિત દાસને તપાસ માટે સમન્સ પાઠવ્યું છે. આરોપ છે કે, ઘટનાના દિવસે અંકિત દાસ સ્થળ પર હાજર હતા. આ અગાઉ અંકિતના ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરી હતી. ડ્રાઈવરની પૂછપરછ કર્યા બાદ હવે પોલીસે અંકિત દાસના ઘરે નોટિસ ચોંટાડી દીધી છે.
3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી જિલ્લાના ટિકોનિયા વિસ્તારમાં હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર પાછળથી એક ઝડપી થાર મહિન્દ્રા વાહનને ટક્કર મારી હતી, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા.
ખેડૂતોએ આ કેસમાં FIR નોંધાવતી વખતે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને અન્ય સાત લોકોને આરોપી બનાવ્યા હતા. આશિષ મિશ્રા 9 ઓક્ટોબરના રોજ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા હતા. જે બાદ પોલીસે તપાસમાં સહકાર ન આપવા બદલ તેની ધરપકડ કરી હતી. 10 ઓક્ટોબરના બીજા જ દિવસે કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું
હાલ આ મામલે જબરદસ્ત રાજકારણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. આ દરમિયાન લખીમપુર ખેરી હિંસા કેસમાં હકીકતોને લગતું એક મેમોરેન્ડમ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું હતું અને આ મામલે પીડિત પક્ષને ન્યાય મળે તે માટે દરમિયાનગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિને કહ્યું કે આરોપીના પિતા, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ, કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સિવાય સુપ્રીમ કોર્ટના બે સિટિંગ જજોને પણ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ આજેજ સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું છે.