ત્રણ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, અરજી કરીને રદ કરવાની માંગ
મોદી સરકાર દ્વારા હાલમાં જ ત્રણ તલાક પર બનેલા નવા કાયદાને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.
મોદી સરકાર દ્વારા હાલમાં જ ત્રણ તલાક પર બનેલા નવા કાયદાને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટમાં કેરળ સ્થિત મુસ્લિમ સંગઠન કેરળ જામિયતુલ ઉલેમાએ જ્યારે દિલ્લી હાઈકોર્ટમાં એક વકીલે આ નવા કાયદા સામે અરજી કરી છે. સર્વોચ્ચ અદાલતમાં આ કાયદા સામે અરજીમાં કહેવામાં આવ્યુ કે તે બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21માં મળેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. માટે આ કાયદાને ગેરબંધારણીય ઘોષિત કરવામાં આવે.
સમસ્ત કેરળ જામિયતુલ ઉલેમા અને દિલ્લીના વકીલ શાહિલ અલીએ બિલ સામે અરજી કરી છે અને તેમનો દાવો છે કે બિલ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21નું ઉલ્લંઘન છે અને તેને ફગાવી દેવુ જોઈએ. સમસ્ત કેરળ જમીયતુલ ઉલેમા કેરળમાં સુન્ની મુસ્લિમ સ્કૉલર અને મૌલવીઓનું એક સંગઠન છે. તમને જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ આને મંજૂરી આપી દીધી છે અને તેના આગલા દિવસે આ નવા બનેલા કાયદા સામે અરજી કરવામાં આવી છે.
સંગઠન તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે કાયદાને દંડાત્મક બનાવવામાં આવ્યો છે તે પણ ધાર્મિક ઓળખના આધારે કોઈ ખાસ વર્ગ માટે. જો આના પર રોક લગાવવામાં ન આવી તો આ સમાજમાં સૌહાર્દ ખતમ કરી દેશે અને ધ્રુવીકરણ પેદા કરશે. કલમ 4 હેઠળ 3 વર્ષની સજાની જોગવાઈ છે જ્યારે મુસ્લિમ પતિ ત્રણ તલાક બોલશે. કલમ 7 હેઠળ આ સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનો ગણાવવામાં આવ્યો છે.
વળી, દિલ્લી હાઈકોર્ટમાં શાહિત અલી દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તે પતિ અને પત્ની વચ્ચે સમજૂતી કરવાની બધી સંભાવનાઓને પણ ખતમ કરી દેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જુલાઈના રોજ ત્રણ તલાક બિલને મંજૂરી આપી દીધી જે સાથે જ ત્રણ તલાક કાયદો અસ્તિત્વમાં આવી ગયો છે. આ કાયદો 19 સપ્ટેમ્બર, 2018થી લાગુ માનવામાં આવશે. ત્રણ તલાક બિલ સંસદના બંને ગૃહોમાં પહેલેથી જ પાસ થઈ ચૂક્યુ છે.
આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું ષડયંત્ર, પાક આર્મીના લેન્ડમાઈન મળ્યા