સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોના નેતાઓએ આપી હાજરી, જોશીએ બજેટ સત્ર સુચારુ રીતે ચાલવાની વ્યક્ત કરી આશા
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોએ ભાગ લીધો હતો. અમે કહ્યું છે કે, જો પક્ષો સંસદની સુચારૂ કામગીરીમાં સહકાર આપે તો સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
નવી દિલ્હી, 31 જાન્યુઆરી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે સોમવારના રોજ બજેટ સત્ર શરૂ થયું છે. સોમવારના રોજ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. જે બાદ પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ સત્ર સરળતાથી ચાલશે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોએ ભાગ લીધો હતો. અમે કહ્યું છે કે, જો પક્ષો સંસદની સુચારૂ કામગીરીમાં સહકાર આપે તો સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. અમને આશા છે કે, આ સત્ર સરળતાથી ચાલશે. આ બેઠકમાં સત્રને સરળતાથી ચાલવા દેવા માટે પણ સહમતિ સધાઈ હતી.
પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, બેઠકમાં દરેકે પોતપોતાના સૂચનો રજૂ કર્યા, સરકાર વતી તેમને ખાતરી આપવામાં આવી છે કે, બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જોશીએ કહ્યું કે, જો ગૃહને સુચારુ રીતે ચલાવવામાં સહકાર આપવામાં આવે તો અમે સત્રના બીજા ભાગમાં અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ.
પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, આ બેઠકમાં સરકાર વતી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બજેટ સત્રના પહેલા ભાગમાં માત્ર રાષ્ટ્રપતિનું સંબોધન અને બજેટ રજૂ કરવામાં આવે છે. સત્રના બીજા ભાગમાં અન્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે.