યુપી-એમપી અને રાજસ્થાનમાં વિજળી પડતાં 68 લોકોનાં મોત
યુપી-એમપી અને રાજસ્થાનમાં વિજળી પડતાં 68 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રવિવારે આકાશીય વિજળીનો કહેર ટૂટ્યો. ત્રણેય રાજ્યોમાં વિજળી પડવાથી 68 લોકોના મૃત્યુ થયાં છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ સોમવાર સુધી ઉત્તર પ્રદેશમાં વિજળી પડવાથી મૃતકોની સંખ્યા 41 સુધી પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશમાં વિજળી પડવાથી સાત લોકોના જીવ ગયા છે જ્યારે રાજસ્થાનમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કોટા અને ધૌલપુરમાં સાત બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 10 લોકો બળી ગયા છે, જેમનો હોસ્પિટલે ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
યુપીમાં સૌથી વધુ 41 લોકોના મોત
યુપીમાં સૌથી વધુ 41 લોકોનાં મોત થયાં છે. પ્રયાગરાજમાં સૌથી વધુ 14 લોકોના મૃત્યુ થયાં છે. કાનપુર દેહાત અને ફતેહપુરમાં 5-5 લોકોના મોત, કૌશાંબીમાં ચાર લોકોના મોત, ફિરોજાબાદમાં 3 લોકોનાં મોત, ઉન્નાવ, હમીરપુર, સોનભદ્રમાં 2-2 લોકોનાં મોત, કાનપુર નગર- પ્રતાપગઢ-હરદોઈ-મિર્જાપુરમાં 1-1 વ્યક્તિનાં મોત થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાળ સહાયતા રાશિ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
રાજસ્થાનમાં વિજળી પડવાથી 20 લોકોનાં મોત
રાજસ્થાનમાં વિજળી પડવાથી 20 લોકો મૃત્યુ પામ્યા છે. સરકારી આંકડાઓ મુજબ રાજસ્થાનમાં રવિવારે આકાશીય વિજળી પડવાથી મૃતકોની સંખ્યા 20 થઈ ગઈ છે. જેમાં જયપુરમાં 11, ધૌલપુરમાં 3 લોકોનાં મોત થયાં છે, કોટામાં 4 લોકોનાં મોત થયાં છે, ઝાલાવાડ અને બારાંમાં 1-1 લોકોનાં મોત થયાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિજળી પડવાથી જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપતાં તેમના પરિવારને તત્કાળ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. રાજસ્થાન સરકાર તરફથી મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. જેમાંથી 4 લાખ ઈમરજન્સી રિલીફ ફંડથી 1 લાખ સીએમ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.