વારાણસીમાં પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા માંગે છે મમતા બેનરજી
લોકસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે તમામ વિરોધ પક્ષો ભાજપ વિરુદ્ધ તેમની રણનીતિ બનાવવામાં જોડાઈ ગયા છે.
લોકસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે તમામ વિરોધ પક્ષો ભાજપ વિરુદ્ધ તેમની રણનીતિ બનાવવામાં જોડાઈ ગયા છે. પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યની તમામ 42 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ ઉપરાંત ઝારખંડ, આસામ, ઓડિશા, બિહાર અને અંડમાનમાં પણ કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ આ બધા સિવાય તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ચૂંટણી પ્રચાર કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: માયાવતીનું મોટુ એલાન- કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં નહિ થાય ગઠબંધન
વારાણસીમાં કરશે ચૂંટણી પ્રચાર
મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની બધી 42 બેઠકોની જીત પર વિશ્વાસ છે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે બધી 42 બેઠકો પર જીત મેળવશે. મમતાએ કહ્યું હતું કે તે અખિલેશ યાદવ અને માયાવતીના સમર્થનમાં વારાણસી ચૂંટણી માટે પ્રચાર કરવા જઈ શકે છે. તેમણે કહ્યું કે જો અખિલેશ અને માયાવતી તેમને બોલાવે, તો તેઓ ચૂંટણી માટે પ્રચાર કરવા વારાણસી જશે. તેઓને મારો નૈતિક ટેકો છે.
મહાગઠબંધનમાં મહત્વની ભૂમિકા
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં મમતા બેનર્જીએ ભાજપ વિરોધી પક્ષોને એકીકૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 19 જાન્યુઆરીએ કોલકાતામાં 23 વિપક્ષી પક્ષોની મોટી રેલી થઇ હતી. એવું માનવામાં આવે છે કે મહાગઠબંધનની આગામી મોટી બેઠક 15 માર્ચના રોજ યોજાઈ શકે છે, પરંતુ પૂર્વના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણને લીધે શક્ય છે કે મમતા બેનરજી તેમાં શામેલ ન થઇ શકે.
પીએમ મોદી પર હુમલાવર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મમતા બેનરજી ખુલ્લી રીતે બોલતા રહ્યા છે, તેઓ ન માત્ર મોદી સરકારની નીતિઓના મુદ્દે પણ વડા પ્રધાન મોદીના નિવેદન વિશે તેમના પર હુમલો બોલતા આવ્યા છે. મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે આ ચૂંટણી પીએમ મોદી માટે ખૂબ જ પડકારજનક છે, અમે ઘણી સ્ટ્રાઇક્સ જોઈ રહ્યા છીએ મારો કહેવાનો મતલબ એ છે કે રાજનીતિક સ્ટ્રાઇક, મારા નિવેદનને ખોટું ના સમજતા જેમ કે નોટબંધીના સમયે કરવામાં આવ્યું હતું. મેં શરૂઆતથી જ નોટબંધીનો વિરોધ કર્યો હતો, તેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વિપક્ષને નુકસાન નહીં પહોંચાડીએ
મમતા બેનરજીએ કહ્યું કે અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ અને અન્ય રાજ્યોમાં પણ ઉમેદવારો ઊભા કરીશું જો કે, હજુ તે નક્કી નથી કરવામાં આવ્યું કે કઈ જગ્યાઓ પર ઉમેદવારો મુકવાના છે. અમે એ વાત માટે પ્રયત્ન કરીશું કે અમારા વોટ શેરના લીધે વિપક્ષી પક્ષોને કોઈ નુકસાન ન પહોંચે. અમને ખૂબ વિશ્વાસ છે કે ઉમેદવારને ભાજપના ઉમેદવારો વિરુદ્ધ ઉતારવા જોઈએ. બીજી તરફ, મમતાએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે જે લોકો એર અને રેલવે દ્વારા બંગાળમાં મોટા પાયે રોકડ લાવે છે તેના પર નજર રાખવામાં આવે અને તેમની સામે પગલાં લેવામાં આવે.