લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધીના રોડ શોમાં ફરકાવાયા બે ઝંડા, જાણો કેમ?
સોનિયા ગાંધીના સમર્થકોએ રોડ શોમાં બે અલગ અલગ રંગના ઝંડા લીધા હતા. એક ઝંડાનો રંગ વાદળી હતો અને બીજા ઝંડાનો રંગ કાળો હતો. જાણો કેમ.
આજે જ્યાં દેશના 20 રાજ્યોની 91 લોકસભા સીટો પર મતદાન ચાલુ છે. ત્યાં બીજી તરફ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા સીટથી પાંચમી વાર નામાંકન દાખલ કર્યુ છે. નામાંકન ભર્યા બાદ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચેતવણી આપતા કહ્યુ કે તેમણે વર્ષ 2004 ભૂલવુ ન જોઈએ. વાજપેયી પણ અજેય હતા પરંતુ અમે જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં બધા રાજકીય પંડિતોના દાવાઓને ફગાવીને કોંગ્રેસે વાજપેયી સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકી હતી. સોનિયા ગાંધી સાથે નામાંકન ભરતી વખતે રાહુલ, પ્રિયંકા અને રૉબર્ટ વાડ્રા તેમની સાથે હતા.
સોનિયા ગાંધીના રોડ શોમાં જોવા મળ્યા બે પ્રકારના ઝંડા
સોનિયા ગાંધીના રોડ શોમાં ભારે જનસૈલાબ ઉમટ્યો જેમાં બાળકો, વૃદ્ધો અને યુવાનો શામેલ થયા પરંતુ આ રોડ શોમાં એક ખૂબ જ ખાસ વાત જોવા મળી અને ખાસ વાત એ હતી ઝંડા, સોનિયા ગાંધીના સમર્થકોએ રોડ શોમાં બે અલગ અલગ રંગના ઝંડા લીધા હતા. એક ઝંડાનો રંગ વાદળી હતો અને બીજા ઝંડાનો રંગ કાળો હતો. ઝંડો લઘુત્તમ આવક યોજના (NYAY) ના પ્રતીક રૂપમાં હતો અને કાળા રંગના ઝંડા રાફેલ સામે કોંગ્રેસે પોતાનો વિરોધ કર્યો હતો.
શું છે લઘુત્તમ આવક યોજના (NYAY)
વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ લઘુત્તમ આવકની ગેરેન્ટીની યોજનાનું એલાન કર્યુ છે. પાર્ટીનો દાવો છે કે જો તેમની સરકાર બની તો તે દેશના ગરીબો માટે દુનિયાની સૌથી મોટી આવક ગેરેન્ટી યોજના લાગુ કરશે. જેના દ્વારા પ્રતિ માસ 12 હજાર રૂપિયાથી ઓછુ કમાતા પરિવારને દર મહિને 6 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે. કોંગ્રેસે આને લઘુત્તમ આવક યોજનાનું નામ આપ્યુ છે અને શૉર્ટ ફોર્મમાં તેને ન્યાય રૂપે પ્રચારિત કરી રહી છે. પાર્ટીનું કહેવુ છે કે આ યોજનાથી એ ગરીબોને ન્યાય મળશે જે છેલ્લા પાંચ વર્ષોથી મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યા છે.
રાફેલ ડીલનો વિરોધ
કોગ્રેસ સંપૂર્ણપણે રાફેલ ડીલના વિરોધમાં ઉભી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુલ્લેઆમ આ ડીલ માટે મોદી સરકાર અને પીએમ મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા રહે છે, બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે રાફેલ મામલે ફરીથી સુનાવણી કરવા તૈયાર છે ત્યારબાદ કોંગ્રેસના હુમલા ભાજપ પર ફરીથી વધી ગયા છે.
નામાંકન ભરતા પહેલા સોનિયાએ કરી પૂજા-અર્ચના
સોનિયા ગાંધીએ નામાંકન ભરતા પહેલા મા અપરાજિતાની પૂજા કરી અને હવન કર્યો. તમને જણાવી દઈએ કે વર્ષ 1967માં ઈન્દિરા ગાંધીએ પણ અહીં મા અપરાજિતાની પૂજા કરી હતી અને ત્યારબાદ નામાંકન કર્યુ હતુ. સોનિયા પણ એ જ પરંપરાનું પાલન કરતા આવ્યા છે.
સપા-બસપા ગઠબંધને નથી ઉતાર્યા ઉમેદવાર
રાયબરેલી સીટ પર સપા-બસપા ગઠબંધને ઉમેદવાર નથી ઉતાર્યા. આ સીટ પર 5માં તબક્કામાં 6મેના રોજ મતદાન યોજાશે. સોનિયાએ વર્ષ 2004, 2006ની પેટાચૂંટણી, 2009 અને 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવી હતી. વર્ષ 1957 બાદ કોંગ્રેસે આ સીટ પર પેટાચૂંટણી સહિત 19 વાર જીત મેળવી છે.
આ પણ વાંચોઃ જમીન પર કેવી રીતે કામ કરે છે ભાજપના 'આઈટી યોદ્ધા'?, જાણો