કેરળ: લવ જિહાદ મામલે SCએ કહ્યું, NIA તપાસની જરૂર નથી
સોમવારે લવ જિહાદના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેરળની હાદિયાના મામલે એનઆઈએ તપાસની જરૂર નથી. આ અંગે વાંચો અહીં.
સોમવારે લવ જિહાદના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેરળની હાદિયાના મામલે એનઆઈએ તપાસની જરૂર નથી. કોર્ટે હાદિયાના પિતાને પોતાની પુત્રીને 27 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ યુવકની અરજી પર સુનવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. કેરળ હાઇકોર્ટે આ યુવકના લગ્નને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો અને એની તપાસ એનઆઈએને સોંપી હતી. યુવકે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે એનઆઈએ તપાસની જરૂર નથી.
શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, કેરળ હાઇકોર્ટે આ મામલે મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીના વિવાહને લવ જિહાદ માનતા લગ્ન રદ્દ કર્યા હતા. 24 વર્ષીય હાદિયા શેફિન, જેનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો અને તેનું નામ અખિલા અશોકન હતું, તેણે પોતાના પરિવારની પરવાનગી વિના મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મુસ્લિમ યુવકનું કહેવું છે કે, પરસ્પર સંમતિથી આ લગ્ન તયા હતા.
લગ્ન રદ્દ કઇ રીતે થાય?
જ્યારે હાદિયાના પિતાને આરોપ હતો કે, તેમની પુત્રીનું દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને આ લવ જિહાદનો મામલો છે. કેરળ હાઇકોર્ટે પણ લવ જિહાદનો મામલો હોવાની સંભાવના હેઠળ જ એનઆઈએને તપાસના આદેશ આપ્યા હતા અને સાથે જ એ અંગે પણ તપાસ કરવા કહ્યું હતું કે, બીજે પણ આ રીતે લગ્ન થઇ રહ્યાં છે કે કેમ. જો કે, સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનવણીમાં કહ્યું હતું કે, બે વયસ્કોએ જો પોતાની મરજીથી લગ્ન કર્યા હોય તો લગ્ન રદ્દ કઇ રીતે થઇ શકે? કોર્ટે કહ્યું હતું કે, આ લવ જિહાદ હતો કે નહીં, પરંતુ લગ્ન કઇ રીતે રદ્દ કરી શકાય?
લવ જિહાદની જાળમાં ફસાઇ યુવતી?
યુવતીના પરિવારે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી હતી, એમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પુત્રીનું દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે અને અફઘાનિસ્તાનમાં તેને આઈએસમાં દાખલ કરવા માટે આમ કરવામાં આવ્યું છે. અરજીકર્તા બિંદુ સંપથે કહ્યું કે, તેમની પુત્રી લવ જિહાદની જાળમાં ફસાઇ ગઇ છે. તે હજુ તો કોલેજમાં ભણતી હતી અને લવ જિહાદના ષડયંત્રમાં ફસાઇ ગઇ હતી. આ મામલે એનઆઈએ દ્વારા પોતાના સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક લગ્નોમાં દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અખિલા ઉર્ફે હાદિયા સાથે પૂછપરછ નથી થઇ શકી.