મહારાષ્ટ્રઃ આજે સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, સૌની નજર આ મુલાકાત પર
આજે એનસીપી પ્રમુખ શરદ પવારની દિલ્લીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત થવાની છે જેના પર સૌની નજર લાગેલી છે.
મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ભાજપ અને શિવસેનામાં સતત ખેંચતાણ ચાલુ છે. વળી, અટકળોનો દોર પણ ચાલુ છે. આજે એનસીપી પ્રમુખ શરદ પવારની દિલ્લીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત થવાની છે જેના પર સૌની નજર લાગેલી છે કારણકે આ મુલાકાત બાદ નક્કી થશે કે એનસીપીની ભૂમિકા શું હશે. તમને જણાવી દઈએ કે આ સિલસિલામાં શરદ પવારના નિવાસસ્થાને પણ એક બેઠક થઈ હતી જેમાં અજીત પવાર, જયંત પાટિલ, ધનંજય મુંડે, સુપ્રિયા સૂળે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા.
સંજય રાઉતે મોકલ્યો અજીત પવારને મેસેજ
આ બેઠક બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યુ કે તેમને થોડી વાર પહેલા સંજય રાઉતનો મેસેજ મળ્યો છે પરંતુ તે એનો જવાબ ન આપી શક્યા કારણકે તે મીટિંગમાં હતા. આ પહેલી વાર છે જ્યારે ચૂંટી બાદ તેમણે મને મેસેજ કર્યો છે. હું નથી જાણતો કે તેમણે આવુ કેમ કર્યુ છે પરંતુ હું તેમને સમય મળતા જ ફોન કરીશ, મીડિયા સામે મેસેજ બતાવતા અજીત પવારે કહ્યુ કે સંજય રાઉતે જય મહારાષ્ટ્રનો મેસેજ મોકલ્યો છે. હાલમાં અજીત પવારના આ નિવેદન પર અટકળો દોર ગરમાયો છે.
અમારી પાસે 170થી 175 ધારાસભ્યોનુ સમર્થનઃ શિવસેના નેતા સંજય રાઉત
વાસ્તવમાં સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાસે 170થી 175 ધારાસભ્યોનુ સમર્થન છે ત્યારબાદથી જ રાજકીય ગલીઓમાં હલચલ મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે શિવસેના મહારાષ્ટ્રમાં 50-50 સરકાર પર અડી ગઈ છે જેને ભાજપ માનવા તૈયાર નથી. વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર પહેલા સભ્ય આદિત્ય ઠાકરેએ વર્લી સીટથી ચૂંટણી જીતીને શિવસેનાનો નવો ઈતિહાસ લખ્યો છે.
આ પણ વાંચોઃ તીસ હજારી કોર્ટમાં હિંસાના વિરોધમાં દિલ્લી, પંજાબ, હરિયાણાના વકીલોની આજે હડતાળ
શિવસેનાએ કુલ 56 સીટો પોતાના નામે કરી
શિવસેનાએ કુલ 56 સીટો પોતાના નામે કરી છે. વળી, છ ધારાસભ્યોનુ સમર્થન પણ તેમને મળી ગયુ છે. જ્યારે ભાજપના હિસ્સામાં 105 સીટો આવી છે. ગઈ વખતની તુલનામાં ભાજપને 17 સીટોનુ નુકશાન થયુ છે. આ વખતે એનસીપીએ ગઈ વખત કરતા સારુ પ્રદર્શન કર્યુ છે અને 54 સીટો પોતાના નામે કરી જ્યારે ગઈ વખતે તેને 41 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો.