મમતાનો અવિશ્વાસ પ્રસ્તાવ : BJP આજે NDA સાથે ચર્ચા કરશે
આ અંગે ભાજપનો પક્ષ સ્પષ્ટ કરતા પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે "ભાજપની સંસદીય સમિતીની બેઠકમાં અવિશ્વાસની દરખાસ્ત અંગે પક્ષનું વલણ શું રહેશે તે અંગેનો નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. પણ ભાજપ પોતાનો નિર્ણય આજે સાંજે પક્ષના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને મળનારી એનડીએના ઘટક પક્ષો સાથેની બેઠકમાં ચર્ચા ક્યા બાદ જાહેર કરશે. આ ઉપરાંત પક્ષે શિયાળુ સત્ર માટેની રણનીતિ પણ આ બેઠકમાં ઘડી છે."
ભાજપનું સમર્થન માંગ્યા બાદ મમતા બેનરજીએ સીપીઆઇ નેતા ગુરદાસ દાસગુપ્તા સાથે ફોન પર વાત કરીને તેમનું સમર્થન માંગ્યું છે. મમતાએ ત્યાં સુધી કહ્યું છે કે જો તેઓ તેમની દરખાસ્તનું સમર્થન કરી ના શકે તો ડાબેરી પક્ષો સ્વયં સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લઇને આવે. તેઓ તેમની દરખાસ્તને સમર્થન આપશે.
આ મુદ્દે ડાબેરીઓ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ મમતાની દરખાસ્તના પક્ષમાં નથી. મમતાએ આ પહેલા સુષ્મા સ્વરાજ સાથે વાત કરીને ભાજપનું સમર્થન માંગ્યું હતું.
મમતાના આ પગલાં અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષ વતી પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે "સંસદીય ઇતિહાસમાં આ હાસ્યાસ્પદ સ્થિતિ છે કે સંસદમાં જેમના 19 જ સભ્યો છે તે પોતે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માંગણી કરી રહ્યા છે."
હવે ભાજપ અને એનડીએના ઘટક પક્ષો શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. જો ભાજપ મમતા બેનરજીને સાથ આપશે તો સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે જરૂરી 50 સાંસદની સંખ્યા બની શકશે.