મણિપુર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કોંથોજમે આપ્યુ રાજીનામુ, 8 કોંગ્રેસી ધારાસભ્યો થઈ શકે છે ભાજપમાં શામેલ
મણિપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.
નવી દિલ્લીઃ મણિપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સંસદના ચોમાસુ સત્ર વચ્ચે મણિપુરમાં કોંગ્રેસના પ્રદેશ કમિટી(એમપીસીસી)ના અધ્યક્ષ ગોવિંદદાસ કોંથોજમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના આઠ ધારાસભ્યો આજે ભાજપમાં શામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
કોંથોજમ બિશનુપુર વિધાનસભા મત વિસ્તારમાંથી છ વખત ચૂંટાયેલા કોંગ્રેસ ધારાસભ્ય અને એમપીસીસીના કોંગ્રેસ વિધાનસભા પક્ષના ચીફ વ્હીપ હતા. તેઓ મણિપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રી હતા અને ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા તેમને એમપીસીસીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોંથોજમે જૂન મહિનામાં જ મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ પર તેમની અસંવેદનસીલતા અને જાહેર ઉપહાસ માટે નિશાન સાધ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બિરેન સિંહે પૂછ્યુ હતુ કે અગાઉની કોંગ્રેસ સરકારોએ 15 વર્ષમાં રાજ્ય માટે શું કર્યુ? હું તેમને પૂછવા માંગુ છુ કે ઈબોબી સિંહની કોંગ્રેસ સરકારમાં શું તેઓ કેબિનેટ મંત્રી નહોતા? ત્યારે ગોવિંદદાસ કોંથોજમે કહ્યુ હતુ તે બિરેન સિંહે પણ કોંગ્રેસ સરકારના પ્રવકતા તરીકે કામ કર્યુ હતુ. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્ય સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોને કેટલા પૈસા પાછા આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગરીબોને આર્થિક પેકેજ આપવાના બદેલ રોગચાળા દરમિયાન લોકોના ખિસ્સામાંથી પેટ્રોલ દ્વારા 167 કરોડ કેમ પડાવી લીધા?
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત ભાજપ પર પાર્ટી તોડવાનો આરોપ લગાવતી આવી છે. હાલમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કહ્યુ હતુ કે ભાજપ રાજ્યમાં તોડ-ફોડનુ કામ કરી રહી છે. તે પોતાની તાકાત દ્વારા પક્ષપલટામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં મણિપુર વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. પાર્ટી પહેલેથી જ પંજાબ અને રાજસ્થાનમાં નેતાઓની જૂથબાજી અને ગુસ્સાથી પરેશાન છે એવામાં મણિપુરના આ સમાચાર પક્ષને ચિંતામાં મૂકી શકે છે.