મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષીને KDAમાં OSDની નોકરી મળશે, વળતરની રકમ પણ વધારાશે
ઉદ્યોગપતિ મનીષ ગુપ્તાને ગોરખપુરની એક હોટલમાં પોલીસે કથિત રીતે માર માર્યો હતો. મીનાક્ષી ગુપ્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાલીની જેમ તેમની વાત સાંભળી. તેમણે તેમને ન્યાયની ખાતરી આપી છે.
કાનપુર : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારના રોજ કાનપુરમાં મનીષ ગુપ્તાના પરિવારને મળ્યા હતા. ઉદ્યોગપતિ મનીષ ગુપ્તાને ગોરખપુરની એક હોટલમાં પોલીસે કથિત રીતે માર માર્યો હતો. મીનાક્ષી ગુપ્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાલીની જેમ તેમની વાત સાંભળી. તેમણે તેમને ન્યાયની ખાતરી આપી છે.
આ સિવાય મુખ્યમંત્રી યોગીએ તેમના પુત્રના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું અને મીનાક્ષીને સરકારી નોકરી આપવાનું વચન પણ આપ્યું હતું. મીનાક્ષીને કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓએસડીની નોકરી આપવામાં આવશે. આ સાથે રાહતની રકમ 10 લાખ રૂપિયાથી વધારવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
કાનપુર ટ્રાન્સફર થશે કેસ
મીનાક્ષી ગુપ્તાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ સરકારી નોકરી માટેની મારી માંગણી સ્વીકારી લીધી છે અને મારા પુત્રના ભવિષ્ય માટે કેટલાક પૈસા આપશે. તેમણે મને CBI તપાસ માટે અરજી લખવાનું કહ્યું અને પછી તે તેની તપાસ કરશે. મને આનંદ છે કે, તેમણે મારા પરિવાર માટે એક વાલી તરીકે કામ કર્યું છે. મુખ્યમંત્રીએ મને આશ્વાસન આપ્યું છે, તેમણે ખુદ આ મામલાને કાનપુરમાં તબદીલ કરવા અને નવી ટીમ બનાવીને અહીં તપાસ કરવા જણાવ્યું છે.
સમાજવાદી પાર્ટી 20 લાખ રૂપિયાની મદદ કરશે
આ પહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કાનપુર પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા. તેમણે સમાજવાદી પાર્ટી વતી પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. તેમણે એવી પણ માંગણી કરી છે કે, કેસની તપાસ ફક્ત સિટિંગ જજની દેખરેખ હેઠળ જ થવી જોઈએ. તેના પરિવારને 2 કરોડ રૂપિયાની મદદ કરવી જોઈએ. સરકારે આ પરિવારને 2 કરોડ રૂપિયા આપીને મદદ કરવી જોઈએ.
શું છે સમગ્ર ઘટના ?
કાનપુરના ઉદ્યોગપતિ મનીષ ગુપ્તાનું સોમવારના રોજ મોડી રાત્રે ગોરખપુરની હોટલ ક્રિષ્ના પેલેસમાં નિધન થયું હતું. આરોપ છે કે, સુરક્ષાના નામે તપાસ કરવા ગયેલી પોલીસે માર મારવાના કારણે મનીષ ગુપ્તાનું મોત થયું હતું. આ કેસમાં એસએસપીએ બેદરકારીના આરોપમાં નિરીક્ષક સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ મામલો ગરમાયા બાદ મુખ્યમંત્રી યોગીએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. જે બાદ આરોપી છ પોલીસકર્મીઓ સામે FIR નોંધવામાં આવી હતી.
મનીષની પત્ની મીનાક્ષીનો આરોપ છે કે, પોલીસકર્મીઓએ ચેકિંગ દરમિયાન મનીષ સાથે મારપીટ કરી હતી, ત્યારબાદ તેનું મોત થયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ મનીષના શરીર પર ઈજાના નિશાન મળ્યા છે. મનીષ ગુપ્તાના શરીર પર 4 ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા.