DDC ઉપાધ્યક્ષને હટાવવા પર સિસોદિયાએ LG પર સાધ્યુ નિશાન, કહ્યુ - 'સંબિત પાત્રા સામે પણ કાર્યવાહી કરો'
દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ DDC ઉપાધ્યક્ષને હટાવવા મુદ્દે ઉપરાજ્યપાલ પર પ્રહારો કર્યા છે.
દિલ્લી સરકારના સંવાદ અને વિકાસ ઉપાધ્યક્ષ જેસ્મીન શાહને દિલ્લીના ઉપરાજ્યપાલના આદેશ બાદ કામ કરતા અટકાવવામાં આવ્યા છે. આ આદેશ બાદ દિલ્લીના ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન (DDCD)ના ઉપાધ્યક્ષ જેસ્મીન શાહ, VC, DDCDના કાર્યાલય સાથે જોડાયેલ કોઈપણ વિશેષાધિકારો અને સુવિધાઓનો ઉપયોગ કરી શકશે નહિ. આદેશને પગલે તેમની ઑફિસ પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારી વાહનો અને કર્મચારીઓ સહિતની અન્ય સુવિધાઓ પણ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. આ સમગ્ર મામલા બાદ દિલ્લી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે.
આ પગલા બાદ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે ભાજપના સંબિત પાત્રા સામે પણ આવી જ કાર્યવાહી થવી જોઈએ. સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે એલજીએ જેસ્મિનની ઑફિસને તાળુ મારી દીધુ છે. એલજીએ આરોપ લગાવ્યો છે કે તેઓ આપના પ્રવક્તા છે. જો આમ હોય તો આઈટીડીસીના ચેરમેન સંબિત પાત્રાની ઑફિસ પણ સીલ કરી દેવી જોઈએ કારણ કે તેઓ પણ ભાજપના પ્રવક્તા છે.
તમને જણાવી દઈએ કે જેસ્મીન શાહ પર આપના પ્રવક્તા તરીકે કામ કરીને સત્તાવાર પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. આ અંગે 17 ઓક્ટોબરના રોજ આયોજન વિભાગના નિયામક દ્વારા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ માટે તેમને બે વખત તક પણ આપવામાં આવી હત, પરંતુ તે જવાબ આપી શક્યા નહોતા. આ પછી ઉપરાજ્યપાલના આદેશ પર તેમની ઑફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા અને સ્ટાફને પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ઉપરાજ્યપાલે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર પણ લખ્યો હતો. નોંધનીય છે કે આ પહેલો મુદ્દો નથી જ્યારે દિલ્લી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે ઝઘડો થયો હોય. આ પહેલા દિલ્લી સરકાર અને ઉપરાજ્યપાલ દારૂની નીતિ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર સામ-સામે આવી ચૂક્યા છે.