વિદેશ મંત્રાલય દર વર્ષે 1 કરોડ નવા પાસપોર્ટ ઇશ્યૂ કરશે
મંત્રાલયનો પ્રયાસ છે કે પાસપોર્ટ માટે અરજી કરનારને 21 દિવસથી વધુ રાહ જોવી ન પડે. અત્યારે પણ મંત્રાલય પોલીસ તપાસ રિપોર્ટ આવ્યા બાદ માત્ર 15 દિવસોમાં 90 ટકા પાસપોર્ટ ઇસ્યુ કરી રહ્યું છે. 73 ટકા તત્કાલ પાસપોર્ટ તો માત્ર 3 દિવસમાં જ આપવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી એ આર ઘનશ્યામના જણાવ્યા પ્રમાણે લોકોને વહેલામાં વહેલી તકે પાસપોર્ટ આપવા માટે મંત્રાલયે પોતાના તરફથી પુરી તૈયારી કરી લીધી છે પરંતુ પોલીસ તપાસની ધીમી ગતિને કારણેપાસપોર્ટ બનાવવાનું અભિયાન અટકી જાય છે. હાલત એ છે કે માત્ર 30 ટકા પોલીસ તપાસ જ 21 દિવસની અંદર થઇ રહી છે. જયારે દેશભરના 722 જિલ્લાઓમાંથી 344 જિલ્લાઓ મંત્રાલયની પાસપોર્ટ સેવા સાથે સીધી રીતે જોડાયેલા છે. હવે તમામ રાજયોના પોલીસ વડાઓ સાથે વાતચીત કરી કોઇ નવો રસ્તો શોધવામાં આવશે.
હાલ દેશમાં પાંચ કરોડ લોકો પાસે પાસપોર્ટ છે. આમાંથી બે કરોડથી વધુ પાસપોર્ટ તો માત્ર છેલ્લા 3 વર્ષમાં જ ઇસ્યુ થયા છે. ગયા વર્ષે 77 લાખ નવા પાસપોર્ટ તૈયાર થયા હતા. જયારે આ વર્ષે ઓગષ્ટ સુધીમાં 48.19 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. વર્ષના અંત સુધીમાં આ આંકડો 85 ટકા સુધી પહોંચશે.
મંત્રાલયનું લક્ષ્યાંક આવતા વર્ષથી દર વર્ષે એક કરોડ પાસપોર્ટ જારી કરવાનો છે ત્યાં સુધીમાં લગભગ પોલીસ જિલ્લા પાસપોર્ટ સેવા કેન્દ્રોથી જોડાઇ જશે. ભારતમાં પાસપોર્ટની માંગણી વધી રહી છે. હાલ 77 નવા પાસપોર્ટ કેન્દ્રો બનાવાયા છે. મંત્રાલયોએ નેશનલ કોલ સેન્ટર પણ ઉભું કર્યું છે જેના પર રોજ 20,000 કોલ આવે છે.