હનુમાન ચાલીસા વિવાદઃ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મળ્યા જામીન
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. થોડા દિવસો પહેલા આ મામલે અમરાવતી સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તરત જ અદાલતે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ હવે બંનેને મોટી રાહત મળી છે જ્યાં મુંબઈની સેશન કોર્ટે તેમને જામીન આપી દીધા. જો કે આના માટે ઘણી શરતો કોર્ટે રાખી છે જેનુ પાલન કરવુ બંને માટે અનિવાર્ય છે.
રાણા દંપત્તિના વકીલ રિઝવાન મર્ચન્ટના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ બાદ તે દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી રહ્યા છે જેથી બુધવાર સાંજ સુધી બંનેને જેલમાંથી કાઢી શકાય. તેમણે જણાવ્યુ કે જામીન માટે ઘણી શરતો છે જે હેઠળ બંને લોકો મીડિયા સાથે આ વિશે જોડાયેલી વાત નહિ કરે. આ ઉપરાંત તે પુરાવા સાથે કોઈ પ્રકારની છેડછાડ નહિ કરી શકે અને જે ગુના હેઠળ તેમની ધરપકડ થઈ છે, તે ગુનો બંનેએ ફરીથી નથી કરવાનો.
કોર્ટે કડક શબ્દોમાં કહ્યુ કે આ મામલે જો તપાસ અધિકારી રાણા દંપત્તિને પૂછપરછ માટે બોલાવે તો તેમને જવુ પડશે. જો કે, તપાસ અધિકારી બંનેને ઓછામાં ઓછા 24 કલાક પહેલા સૂચિત કરશે. વળી, જામીન માટે 50-50 હજારના બૉન્ડની શરતો કોર્ટે રાખી છે. જો બંનેએ કોઈ પણ શરતનુ ઉલ્લંઘન કર્યુ તો તેમના જામીન તરત જ રદ કરી દેવામાં આવશે.
ફ્લેટ પર બીએમસીની નજર
વળી, બીજી તરફ આ વિવાદમાં હવે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા(બીએમસી)ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. સોમવારે રાણા દંપત્તિના ખાર સ્થિત ફ્લેટના ઘરની બહાર એક નોટિસ લગાવવામાં આવી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે બીએમસીને શંકા છે કે ફ્લેટમાં ગેરકાયદે નિર્માણ થયુ છે જેના કારણે એક ટીમ બુધવારે આનુ નિરીક્ષણ કરશે.