પોતાના વખાણ કરવામાં મસ્ત મોદી ભાજપ માટે કંઇ નહીં કરી શકે: કપિલ સિબ્બલ
એક પત્રકાર પરિષદને સંબોધતા કપિલ સિબ્બલે જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી માત્ર પોતાના જ વખાણ કર્યા કરે છે અને એવી છબિ ઊભી કરી રહ્યા છે જાણે દેશમાં તેમના સિવાય બીજો કોઇ મુખ્યમંત્રી કામ કરતો જ નથી.' તેમણે જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી હંમેશા એવું જતાવવાની કોશિશમાં હોય છે કે દેશમાં તેઓ સૌથી શ્રેષ્ઠ નેતા છે.'
સિબ્બલે જણાવ્યું કે મોદી ભાજપ માટે કંઇ કરી શકે તેમ નથી કારણ કે તેઓ હંમેશા પોતાની જ પ્રસંશા કરવામાં ગળાડૂબ રહે છે. તેમણે જણાવ્યું કે 'છેલ્લા છ મહિનામાં નરેન્દ્ર મોદીએ તેમના ભાષણોમાં એલ.કે અડવાણી, સુષમા સ્વરાજ જેવા નેતાઓનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી. એટલે કહી શકાય કે મોદી ભાજપ માટે કંઇ કરી શકે તેમન નથી.'
કપિલ સિબ્બલે જણાવ્યું કે હજી સમય છે ભાજપે મોદીના નામ પર ફરી વિચાર કરી લેવો જોઇએ. ઉપરાંત સિબ્બલે છેલ્લા 12 વર્ષમાં મોદીએ ગુજરાતમાં કઇ નવી મોટી પરિયોજના શરૂ કરી છે, તે જણાવવા મોદીને પડકાર ફેંક્યો છે.
કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટીના નેતા અરૂણ જેટલી પર પણ કટાક્ષ કરતા જણાવ્યું કે રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાની જ્યારે કોઇ જાસૂસી કરી હતી ત્યારે તેઓ આરોપી સામે બિન-જામીની વોરંટ જારી કર્યું હતું, પરંતુ જ્યારથી ગુજરાતનો જાસૂસી કેસ પ્રકાશમાં આવ્યો છે ત્યારથી તેઓ ચૂપ થઇને બેઠા છે.