નરેન્દ્ર મોદી મારા સાળા છે, તેમના પર કોમેન્ટ નહી કરું: અમર સિંહ
આઝમગઢ, 29 જુલાઇ: રાજ્યસભાના સાંસદ અમર સિંહે નરેન્દ્ર મોદીને પોતાના સાળા ગણાવતાં કહ્યું હતું કે તેમના વિશે તે કંઇપણ નહી બોલે. પૂર્વ ધારાસભ્ય સર્વેશ સિંહ ઉર્ફે સીપૂ સિંહના પરિવારજનોને મળવા માટે અહી આવેલા અમર સિંહે નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાની મનાઇ કરતાં કહ્યું હતું કે તે મારા સાળા છે. મારી પત્ની ગુજરાતની છે, માટે હું તેમનો બનેવી થાઉ. કોઇ બનેવી સાળા પર કોઇ ટિપ્પણી ન કરે. હાં એટલું જરૂર કહીશ કે તે હિન્દુ રાષ્ટ્રવાદીના બદલે રાષ્ટ્રવાદી હોવાનું નિવેદન આપે.
તાજેતરમાં જ ગુનેગારોની ગોળીનો શિકાર બનેલા સર્વેશ સિંહના પરિવારજનોને મળવા માટે તેમના ગામ અમવારી નારાયણપુર પહોંચેલા અમર સિંહે આરોપ લગાવ્યો હતો કે તેમને એમએમએસ પર ધમકી મળી હતી કે સર્વેશ સિંહના ઘરે જશે તેમની હાલત પણ એવી જ થશે, પરંતુ કોઇનામાં એટલી હિંમત નથી કે તેમને ડરાવી શકે.
અમર સિંહે સપા સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે અહી આમ આદમી કોને કહીએ, જનતાના પ્રતિનિધિઓ પણ સુરક્ષિત રહ્યાં નથી. સાંસદ જયાપ્રદા સાથે આવેલા અમર સિંહે કહ્યું હતું કે પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થા એટલી બગડી ગઇ છે કે કોઇ પણ સુરક્ષિત નથી. તેમને કહ્યું હતું કે સરકારની સમજી વિચારેલા કાવતરા હેઠળ એક જાતિ વિશેષના મોટા નેતાઓની હત્યા કરાવી રહી છે.