મોરબી પુલનુ સમારકામ કરનાર કંપની અને સરકારના અધિકારીઓની મિલીભગત પકડાઈઃ મનીષ સિસોદિયા
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મોરબી બ્રિજ રિપેરિંગ કંપની અને ગુજરાત સરકારના અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટના પર હવે ભારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ પર વિપક્ષ દ્વારા સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર આપી રહેલી આમ આદમી પાર્ટી ભાજપ પર ગંભીર આરોપો લગાવી રહી છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મોરબી બ્રિજ રિપેરિંગ કંપની અને ગુજરાત સરકારના અધિકારીઓની મિલીભગત અને ચોરી પકડાઈ હોવાનો મોટો આરોપ લગાવ્યો છે.
સિસોદિયાએ કહ્યુ કે ભાજપ સરકારના આ ભ્રષ્ટાચારે 150થી વધુ લોકોના જીવ લીધા. તેમ છતાં કંપની ખુલ્લેઆમ કહી રહી છે કે આ Act Of God છે. જ્યારે આમના માથે ભ્રષ્ટાચારી સરકારનો હાથ હોય એટલે આવી બોલી જ નીકળેને. આ દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યુ કે મોરબી કેસના આરોપીઓ સામે સીબીઆઈ-ઈડી કેમ કાર્યવાહી નથી કરી રહી? શું સીબીઆઈ-ઈડી જાણે છે કે માત્ર સામાન્ય લોકો સામે કેવી રીતે કાર્યવાહી કરવી?
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ તેમ જણાવ્યુ કે આજે હું તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને મળીશ. તે મારા રાજકીય મિત્ર છે. હું ચેન્નઈ જઈ રહી છે માટે આ એક સૌજન્ય મુલાકાત છે. તેમણે કહ્યુ કે આ કોઈ મોટી વાત નથી, પરંતુ જ્યારે પણ રાજકારણ સાથે જોડાયેલા બે લોકો મળે છે ત્યારે તેમની સાથે જોડાયેલી વાતો ચર્ચામાં આવે છે.
તેમણે કલેક્ટરોને નાગરિકતા પ્રમાણપત્ર આપવાના અધિકાર અંગે પણ નિવેદન આપ્યુ હતુ. ગુજરાતમાં ગૃહ મંત્રાલય તરફથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને બે જિલ્લાઓમાં નાગરકિતા પ્રમાણપત્ર અધિકાર કલેક્ટરોને આપવા પર પણ તેમણે નિવેદન આપ્યુ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે અમે સંપૂર્ણ રીતે આની વિરુદ્ધ છીએ અને અમે CAAનો વિરોધ કરીએ છીએ. પરંતુ કેન્દ્ર સરકાર ગુજરાતની ચૂંટણીના ફાયદા માટે આ રમત રમી રહી છે.
મોરબી પુલ તૂટ્યા બાદ પણ મમતા બેનર્જીએ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હું આ અંગે કોઈ ટિપ્પણી કરીશ નહિ કારણ કે રાજકારણ કરતા લોકોનુ જીવન વધુ મહત્વનુ છે. હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. તેમણે કહ્યુ કે અકસ્માતને કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા હજુ પણ ગુમ છે. આ દરમિયાન તેમણે મોરબીની ઘટનાની તપાસ માટે SCના નિર્દેશ હેઠળ ન્યાયિક પંચ બનાવવાની માંગ કરી હતી.