મુલાયમસિંહ રાજનીતિક અખાડાના પાક્કા પહેલવાન હતા, આ 5 વાતો એનો પુરાવો આપે છે!
ભારતીય રાજનીતિના મોટા નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું દુખદ અવસાન થયુ છે. મુલાયમ સિંહ યાદવે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ભારતીય રાજનીતિના મોટા નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું દુખદ અવસાન થયુ છે. મુલાયમ સિંહ યાદવે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મુલાયમ સિંહના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે.
મુલાયમસિંહ ભારતીય રાજનીતિક અખાડાના પાક્કા ખેલાડી હતા. ભારતીય રાજનીતિમાં ઘણા એવા મોકા આવ્યા હતા જ્યારે મુલાયમસિંહે એકલા હાથે રાજનીતિની દશા-દિશા નક્કી કરી હતી. આજે આવા જ કેટલાક કિસ્સા જણાવવા જઈ રહ્યા છીએ.
રાજનીતિની શરૂઆત
વર્ષ 1967માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી હતી. મુલાયમ સિંહના રાજકીય ગુરુ માનવામાં આવતા નથ્થુસિંહ તે સમયે જસવંતનગરના ધારાસભ્ય હતા અને તેઓ મુલાયમ પર ઘણો વિશ્વાસ કરતા હતા. તેમણે મુલાયમ સિંહને તેમની સીટ પરથી ઉતારવાનો નિર્ણય કર્યો અને ટિકિટ આપવામાં આવી. આ બધા પછી પ્રચારનો સમય હતો. આ સ્થિતિમાં તેમના મિત્ર દર્શન સિંહે તેમને સાથ આપ્યો. દર્શન સિંહ સાઈકલ ચલાવતા અને મુલાયમ સિંહ પાછળ બેસી જતા. મુલાયમ સિંહ યાદવે સાઇકલ પર ગામડે ગામડે પ્રચાર કર્યો અને અંતે જીત મેળવી અને પછી રાજકારણમાં સફળતાની સીડી ચડ્યા.
પૈસા વગર ચૂંટણી લડી
જ્યારે મુલાયમ સિંહ યાદવે પહેલી ચૂંટણી લડી ત્યારે તેમની પાસે એક પૈસો પણ નહોતો. હવે તમે વિચારશો કે તેમની રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ? તેમણે સાયકલ પર પ્રચાર શરૂ કર્યો હતો, પરંતુ તેઓ સમજી ગયા હતા કે પ્રચાર જે ભાવનાથી થવો જોઈએ તે સાથે થઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં તેમણે એક વોટ એક નોટનો નારો આપ્યો હતો. તે દાન તરીકે એક રૂપિયો માંગતા અને વ્યાજ સહિત પરત કરવાનું વચન આપતા. મુલાયમ સિંહનું આ સ્લોગન હિટ થયું અને લોકોએ પ્રેમ વરસાવ્યો અને તેમને ચૂંટણી પ્રચાર માટે પૈસા મળ્યા.
ડિઝલના પણ પૈસા નહોતા
કુસ્તીનો અખાડો હોય કે રાજકારણનું મેદાન, પોતાના વિરોધીઓને હરાવવા એ મુલાયમ સિંહ યાદવની સૌથી મોટી વિશેષતા રહી છે. અહીં તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે દાનના પૈસાથી એમ્બેસેડર કાર ખરીદી હતી પરંતુ તેમની પાસે તેલ ભરવાના પૈસા પણ બચ્યા ન હતા. જે બાદ તેલના નાણાં ક્યાંથી લાવવા તે અંગે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન એક ગામવાસીએ કહ્યું કે, અમે પૈસાની વ્યવસ્થા કરીશું અને તમામ ગ્રામજનોએ નક્કી કર્યું કે અઠવાડિયામાં એક દિવસ માત્ર એક જ વખત ભોજન કરીશું. બાકી રહેલું અનાજ વેચીને એમ્બેસેડરમાં તેલ ભરવા માટે પૈસાની વ્યવસ્થા કરવામાં આવશે.
સોનિયા ગાંધીને પીએમ ન બનવા દીધા
સોનિયા ગાંધીના વડા પ્રધાનપદનું સપનું તોડનાર મુલાયમ સિંહ યાદવ જ હતા. 1999માં સોનિયા ગાંધી વડાપ્રધાન બનવા માંગતા હતા. તેણીએ પોતાનો દાવો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડ્યો હતો. તેમણે 272 બેઠકોની બહુમતી પણ ગણાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ 32 સાંસદો ધરાવતા મુલાયમ સિંહ યાદવે તેમને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ યુપીએ સાથેની સીટો ઓછી થઈ ગઈ અને સોનિયા વડાપ્રધાન ન બની શકી. બાદમાં એવા સમાચાર પણ આવ્યા કે, આ સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી મુલાયમ સિંહ યાદવથી ખૂબ નારાજ થઈ ગયા અને તેમને નફરત કરવા લાગ્યા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તે પણ મુલાયમ સિંહ યાદવ સામે બદલો લેવા માંગતા હતી.
અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીની રચનાની જાણ નહોતી
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે સમાજવાદી પાર્ટીની રચના થઈ ત્યારે અખિલેશ યાદવને દૂર દૂર સુધી તેની જાણ પણ ન હતી. અખિલેશ યાદવને અખબાર દ્વારા પાર્ટીની રચનાના સમાચાર મળ્યા. અત્યાર સુધી મુલાયમ સિંહ બીજી પાર્ટી દ્વારા ચૂંટણી લડતા હતા અને જીતતા પણ હતા. પરંતુ બાદમાં તેણે નક્કી કર્યું કે હવે તે પોતાની પાર્ટી બનાવશે. લખનૌના બેગમ હઝરત મહેલ પાર્કમાં તેમણે સમાજવાદી પાર્ટીના નામથી પાર્ટી બનાવી. આ સમયે તેમના પુત્ર અખિલેશ યાદવ મૈસૂરમાં હતા અને તેમને અખબાર દ્વારા આ અંગેની માહિતી મળી હતી.