મુઝફ્ફરનગરના રમખાણોએ 43000ને બેઘર બનાવ્યાં
મુઝફ્ફરનગર, 13 સપ્ટેમ્બર : ઉત્તરપ્રદેશના હિંસાગ્રસ્ત મુઝફ્ફરનગરમાં કરફ્યુ લગાવ્યા બાદ આજે ચોથો દિવસ શાંતિથી પસાર થઇ રહ્યો છે. આ ઘટનાની દુ:ખદ બાબત એ છે કે આ ઘટનાને પગલે અંદાજે 43,000 લોકો બેઘર બન્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકની છુટ આપવામાં આવી છે. જ્યારે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જશે ત્યારે કરફ્યુ ઉઠાવી લેવામાં આવશે. જો કે આ સપ્તાહાંત સુધી રાત્રિ કરફ્યુ ચાલુ રાખવામાં આવશે.
મુઝફ્ફરનજર જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર મુઝફ્ફરનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા અંદાજે 43000 લોકોએ રમખાણોમાં પોતાના ઘર ગુમાવ્યા છે. આ લોકોને નજીકમાં તૈયાર કરવામાં આવેલા 38 જેટલા આશ્રયસ્થાનોમાં આશરો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે વિવિધ કેટેગરી જેમ કે મૃતકો, ઘવાયેલાઓ અને રમખાણ અસરગ્રસ્તો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે. આત્યાર સુધીમાં આ અંતર્ગત 3.1 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે.

પોલીસ તંત્ર દ્વારા વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે અંદાજે 10000 લોકોની અટકાયત કરી છે. જ્યારે 70 લોકો સામે એફઆઇઆર નોંધી છે. જો કે જેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે તેમાંથી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટના રોજ મુઝફ્ફરનગરમાં એક યુવતીની છેડતી બાદ મામલો બીચક્યો હતો અને રમખાણો ફાટી નીકળ્યા હતા. નવી દિલ્હીથી 130 કિલોમીટર દૂર આવેલા મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલી હિંસા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સત્તામાં રહેલી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે વિરોધી પાર્ટીઓને આ માટે જવાબદાર ઠેરવી છે.












Click it and Unblock the Notifications
