મારી માતાને તેના સ્વાસ્થ્ય કરતા ફૂડ બિલની ચિંતા વધુ : રાહુલ
શહડોલ, 17 ઓક્ટોબર : આજે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મધ્ય પ્રદેશના શહડોલમાં પહોંચ્યા હતા. અહીં જન સભાને સંબોધતા રાહુલે ખાદ્ય સુરક્ષા બીલ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે આ બીલને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે હિન્દુસ્તાનમાં પહેલી વાર કોઈ ભૂખ્યું નહીં રહે. રાહુલે કહ્યું કે ખાદ્ય સુરક્ષા બીલ મારી માતાનું સપનું હતું.
ખાદ્ય સુરક્ષા બીલના વખાણ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં હવે એક રૂપિયામાં અનાજનું વિતરણ કરાશે. આ ગેરંટી કોંગ્રેસ આપે છે કારણ કે તે પ્રજાના દર્દને સમજે છે.
રાહુલએ ખાદ્ય સુરક્ષા બીલ અંગે સંસદમાં થયેલા પ્રસંગ અંગે વાત કરતા જણાવ્યું કે બીલ અંગે મતદાન સમયે સોનિયા ગાંધીની તબિયત લથડી હતી. મેં તેમને હોસ્પિટલ જવા માટે કહ્યું, પરંતુ તેઓ ત્યાંથી જવા તૈયાર ન હતા. કારણ વિશે પૂછતા તેમણે કહ્યું કે હું આ માટે લાંબા સમયથી લડી રહી છું. બટન દબાવ્યા વિના હું અહીંથી ક્યાંય નહી જાંઉ.
તેઓ લોકસભામાં અંદર ગયા, હું દર બે મિનિટે તેમને જોઈ રહેતો હતો. પછી તેમને શ્વાસ ચડતા હું તેમને ઘસડીને લઈ ગયો, પ્રિયંકાને ફોન કરી માને હોસ્પિટલ લઈ ગયા. એ રડતા હતા, કે છેક સુધી લડવા છતા તેઓ બીલ માટેનું બટન ન દબાવી શક્યા.