દેશમાં ઊંધઇની જેમ ફેલાઇ રહી છે કોંગ્રેસ: મોદી
નવી દિલ્હી, 3 માર્ચ : નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આજે સૌની નજર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર રહી. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસે દેશને ડૂબાડી દીધો છે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની ક્યારેય એવી નીતિ જ નથી રહી કે દેશનું ભલું કરે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના ખૂનમાં જ નથી કે દેશનો હિત કરવું.
મોદીએ કોંગ્રેસ પરિવાર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસમાં એક પરિવાર માત્ર પોતાનું નેતૃત્વ જમાવા માગે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે કોંગ્રેસ પરિવારે સિતારામ કેસરીને પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જાણે કે કોઇ નાઇટ વોચમેન બેસાડી દેવામાં આવ્યા હોય. કોંગ્રેસ પરિવાર એટલા માટે નબળા હાથમાં કમાન સોંપતી આવી છે કારણ કે તેઓનો દબદબો આખી પાર્ટી પર બની રહે.

મોદીએ જણાવ્યું કે દેશમાં કોંગ્રેસ ઊંધઇની જેમ ફેલાઇ ગઇ છે. જેને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પરસેવાથી દૂર કરી શકાશે. મોદીએ જણાવ્યું કે મિત્રો આપણે કંઇ કરીએ કે ના કરીએ પણ આ દેશ ચાલી પડ્યો છે, અને આ દેશે કોંગ્રેસને ઉખાડી ફેંખવાનો નિર્ણય કરી દીધો છે. મિત્રો આપણે માત્ર એ જગ્યા યોગ્ય લોકોથી ભરવાની છે એની ચિંતા કરવાની છે.
મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના કારણે દેશના 60 વર્ષ બરબાદ થયા છે. જોકે મોદીએ પોતાના ભાષણમાં લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહાર વાજપેઇના ભરપૂર વખાણ પણ કર્યા. તેમણે જણાવ્યું કે એક સમય હતો કે ઘઉ આપણે આયાત કરવા પડતા હતા. 'જય જવાન, જય કિસાન' નું સૂત્ર આપી લાલ બહાદુર શાસ્ત્રીના આહ્વાનને પગલે આખા દેશમાં અન્નના ભંડાર ભરાઇ ગયા હતા. હવે ઘઉ નથી મંગાવવા પડતા. અટલજીના શાસનમાં ન્યૂક્લિયર પરિક્ષણ કરવામાં આવ્યો હતો. જેના પગલે દુનિયાના મોટા દેશોએ ભારત પર આર્થિક, નાણાકિય પ્રતિબંધ લાદી દીધો છતાં વાજપેઇની સરકારે બીજા જ દિવસે બીજો પરમાણું પરિક્ષણ કરીને દુનિયાને બતાવી દીધું કે અમે કોઇની સામે ઝૂકવાના નથી.
મોદીએ જણાવ્યું કે માત્ર આશા રાખવાથી કામ નહી ચાલે મિત્રો દિલમાં એક અરમાન પેદા કરવાની જરૂર છે. તેમણે દેશના નાગરિકોને આહ્વાન કરતા જણાવ્યું કે
તમે એક પગલું દેશ માટે, દેશના ભલા માટે આગળ વધારો, તમારી સાથે સાથે સવાસો પગલાં આપમેળે આગળ વધી જશે.
મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતમાં વીજળીની ક્ષેત્રે થયેલા વિકાસની ભારે વાહવાઇ કરતા જણાવ્યું કે દેશમાં વીજળીની ભારે સમસ્યા છે જ્યારે ગુજરાતમાં જ્યાં અને જ્યારે જોઇએ ત્યારે વીજળી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. અને ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 12 વર્ષમાં વીજળીના ભાવ વધાર્યા નથી. અને છતાંય ગુજરાત વીજ કંપની દરવર્ષે સાત હજાર કરોડનો ફાયદો કરી રહી છે. કારણ કે ગુજરાતમાં ભાજપની સરકારના સુશાસનમાં લીકેજ બંધ કરી દેવાયું છે.
મોદીએ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના પણ ભરપૂર વખાણ કરતા જણાવ્યું કે આદીવાદીસીઓના વિકાસ માટે, તેમના ઉધ્ધાર માટેનું ઉત્તમ મોડેલ છત્તીસગઢના ડો. રમણ સિંહેએ આપ્યું છે. જો કેન્દ્રની કોંગ્રેસ સરકાર ખરેખર દેશના આદિવાસીઓનો ઉધ્ધાર કરવા માગતી હોય અને તેમને નક્સલવાદ જેવા દુષણ તરફ જતા રોકવા માગતી હોય તો ડો. રમણસિંહે આપેલા વિકાસના મોડલને અપનાવી જુએ.
મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એક મિશન છે જ્યારે કોંગ્રેસ એક કમિશન પાર્ટી છે. મોદીએ કાર્યકરોને જણાવ્યું કે દેશને કોંગ્રેસ મુક્ત કરવું એ પણ સૌથી મોટી દેશભક્તીનું કામ છે. મિત્રો વિશ્વાસ રાખો કે આ હવે કોંગ્રેસને દેશમાંથી ઉખાડી ફેંકીશું. તેમણે છેલ્લે શાયરી અંદાજમાં જણાવ્યું કે 'માના અંધેરા ઘના હૈ, પર દિયા જલાના કહા મના હૈ' તેમણે કાર્યકરોને આહ્વાન કરતા જણાવ્યું કે આવો મિત્રો અત્રે ચાલી પડીએ કમળના નિશાન સાથે એક દિવો લઇને નીકળી પડીએ અને દેશને કોંગ્રેસમુક્ત કરીને દેશભક્તીનું કામ કરીએ.












Click it and Unblock the Notifications
