મોદીનો કેજરીવાલને જવાબ, ખોટુ બોલી રહ્યાં છે અરવિંદ
અમદાવાદ, 26 માર્ચઃ વારાણસીની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે લગાવેલા આરોપોનો જવાબ આપતા ગુજરાત સરકારના પ્રવક્તાએ કહ્યું કે, કેજરીવાલ ગુજરાતને બદનામ કરી રહ્યાં છે અને ખોટો પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાત સરકાર તરફથી કેજરીવાલના દરેક આરોપોનો જવાબ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેજરીવાલે ગઇ કાલે વારાણસીમાં ગુજરાત સરકાર અને મોદી પર માત્ર ઉદ્યોગપતિઓનો જ વિકાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ત્યાંના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે.

કેજરીવાલે વારાણસી રેલીમાં કહ્યું હતું કે જો મોદી જીત્યા તો ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે અને યોગ્ય વળતર પણ નહીં આપવામાં આવે. જેના જવાબમાં સરકારે કહ્યું છે કે રાજ્યના ભૂમિ અધિગ્રહણ કાયદાના વખાણ સુપ્રીમ કોર્ટે પણ કર્યા છે. ખેડૂતોની સ્થિતિ ગુજરાતમાં આખા ભારતના ખેડૂતો કરતા સારી છે. અહીં કૃષિ વિકાસ દર 11 ટકા છે.
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કેજરીવાલનું રાજકારણ નાટક અને ડ્રામા પર આધારિત છે, તેમના દાવા ખોટા છે. તે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ હવે માત્ર 2 ટકા છે. નોંધનીય છે કે આ પહેલીવાર છે કે જ્યારે મોદી તરફથી કેજરીવાલના આરોપોનો જવાબ આપવામાં આવ્યો છે, આ પહેલા કેજરીવાલે પોતાના ચાર દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદીએ મુલાકાત કરી નહોતી.












Click it and Unblock the Notifications
