મોદીને જન્મ દિવસ પહેલા મળશે પીએમ ઉમેદવારીનો ઉપહાર
અમદાવાદ, 11 સપ્ટેમ્બર : ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આ વખતનો જન્મ દિવસ મોટો ઉપહાર લાવનાર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, આ ઉપહાર તેમને જન્મ દિવસ પહેલાં જ મળી શકે, તેવા એંધાણ છે. હવે આ મોટો ઉપહાર શું છે, તે તો સૌ જાણે જ છે. ભાજપે મોદીને ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ તો બનાવી જ દીધા છે અને પક્ષ તથા મોદીના વિરોધીઓ પણ જાણે જ છે કે મોદીને અહીં સુધી સીમિત રાખવા માટે આ હોદ્દો નથી અપાયો. તેમનો આગામી પડાવ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો છે.

સર્વવિદિત છે કે 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવે છે. ગત વર્ષના જન્મ દિવસે મોદી સામે લક્ષ્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 જીતવાનું હતું અને આ વખતે તેમનું લક્ષ્ય શું છે, તે કહેવાની જરૂર નથી. આ વખતે તેમનું લક્ષ્ય વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનું છે અને કદાચ આવતા વર્ષે તેઓ વડાપ્રધાન તરીકે પણ જન્મ દિવસ ઉજવી શકે. છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, તેને જોતાં સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર 13મી સપ્ટેમ્બરે જ જાહેર કરી દેવામાં આવશે.
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતી વખતે કાળ-ચોઘડિયા-તિથિનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપના પ્રયત્ન છે કે જાહેરાત શુભ મુહૂર્તમાં કરવામાં આવે. 20મી સપ્ટેમ્બરથી એક પખવાડિયા માટે પિતૃ પક્ષ શરૂ થઈ જશે. તેથી પિતૃ પક્ષ શરૂ થતા પહેલા જાહેરાત થવાની પાકી આશા છે. સંઘ અને ભાજપ સંકલન સમિતિની બેઠકમાં નરેન્દ્ર મોદીના નામને લીલી ઝંડી અપાઈ ગયા બાદ હવે એકમાત્ર ઔપચારિક જાહેરાત બાકી છે. જોકે રાજકીય વિશ્લેષકો લાલકૃષ્ણ અડવાણીની નારાજગીને મહત્વ આપી રહ્યાં છે, પરંતુ સૂત્રો કહે છે કે ભાજપ મોદીને પીએમ ઉમેદવાર જાહેર કરવા અંગે અડગ છે. 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેથી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરતી વખતે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે અને હવે તો લગભગ 13મીએ જ આ જાહેરાત થઈ જવાની શક્યતા છે.
જોકે ભાજપની અંદર નરેન્દ્ર મોદીને પીએમ કૅંડિડેટ જાહેર કરવા અંગે ભારે દબાણ અને ખેંચતાણ ચાલી રહ્યાં છે. એક બાજુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ મુદ્દે પોતાની લીલી ઝંડી આપી ચુક્યું છે અને તે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપ ઉપર ભારે દબાણ લાવી રહ્યું છે, તો બીજી બાજુ પક્ષની અંદર જ કેટલાંક માથાઓ મોદી માટે આડખીલી બની રહ્યાં છે.
ઉપરાંત નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં 100 કરતાં વધુ રેલીઓ દેશભરમાં કરવાના છે અને તેઓ પણ ઇચ્છશે જ કે તેઓ માત્ર ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ તરીકે નહીં, પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આ રેલીઓ સંબોધશે, તો તેમને અને પક્ષને વધુ ફાયદો થશે. તેથી આ તમામ બાબતો વચ્ચે કહી શકાય છે કે નરેન્દ્ર મોદીને આ જન્મ દિવસે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો ઉપહાર મળી શકે છે.












Click it and Unblock the Notifications
