Breking News: ઝારખંડમાં નક્સલી હુમલો, 7 પોલીસકર્મી શહીદ
પાકુડના એસી અજીત બલિહારને પણ નક્સલીઓની ગોળી વાગી છે. કાઠીકુંડમાં એસપીના કાફલા પર નક્સલી હુમલો કરી આ ઘટનાને અંજામ આપ્યું હતું. દુમકાના ડીઆઇજી સાથે મીટિંગ કરી એસપી પાકુડ પરત ફરી રહ્યાં હતા અને તે સમયે નક્સલીઓએ એસપી કાફલા પર હુમલો કર્યો હતો.
ઝારખંડના ડીજીપી રાજીવ કુમારે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ સવા ત્રણ વાગે નક્સલીઓએ પાકુડ તરફ જઇ રહેલા જિલ્લાના પોલીસ અધીક્ષક અમરજીત બલિહારના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પોલીસ અધિક્ષકનો કાફલો કાઠીકુંડથી પાકુડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ઘોર જંગલમાં સંતાયેલા નક્સલીઓએ કાફલા પર ચારેબાજુથી ગોળીબારી કરી હતી. રાજીવ કુમારે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળને ઘટનાસ્થળે મોકલવામાં આવેલ છે. દુમકના પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે રવાના થઇ ગયા છે.
નક્સલી હુમલા બાદ કોંગ્રેસના શકીલ અહેમદે કહ્યું હતું કે એક સભ્ય સમાજમાં હિંસા માટે કોઇ સ્થાન નથી. તેમને કહ્યું હતું કે તે આ ઘટનાની આકરી નિંદા કરે છે. નક્સલી હિંસાના વિરૂદ્ધમાં કડક પગલાં ભરવા જોઇએ, જેથી આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
પૂર્વ કેન્દ્રિય મંત્રી સુબોધકાંત સહાયે કહ્યું હતું કે નક્સલી હુમલો સરકાર માટે એક મોટો પડકાર છે, તો બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હંમેત સોરેનનું કહેવું છે કે તે આ ઘટનાથી ખૂબ દુખી છે.