લોકસભા ચૂંટણીમાં NDAને મળશે 197 બેઠકો, મોદી પ્રધાનમંત્રી પદ માટે સર્વશ્રેષ્ઠ
નવી દિલ્હી, 5 જુલાઇ : આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં એનડીએને 197 બેઠકો, યુપીએને 184 બેઠકો તથા અન્ય દળોને 162 બેઠકો મળશે. 'ધ વીક' મેગેઝિન દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં આ આંકડા સામે આવ્યા છે.
સર્વે અનુસાર ચૂંટણીમાં વર્ષ 2009ના લોકસભાના 37.2 ટકા મતોની સરખામણીમાં યુપીએના મતોમાં ઘટાડો થશે અને તે 31.7 ટકા રહેશે. જ્યારે યુપીએ કરતાં એનડીએના મતોમાં વધારો થશે. જે ગત લોકસભા ચૂંટણી 2009માં મેળવેલ 23.3 ટકા મતોની સરખામણીએ 26.7 ટકા થવાની સંભાવના છે.
જ્યારે અન્ય દળોના મતોમાં ભાગીદારી 41.6 ટકા રહેશે જે 2009માં 39.5 ટકા હતી. સર્વેક્ષણમાં કહેવાયું છે કે 32 ટકા લોકોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી રહેશે જ્યારે આ શ્રેણીમાં મનમોહન સિંહ 15 ટકા મત મેળવી શક્યાં છે, તો રાહુલ ગાંધીને 13 ટકા મત મળ્યા છે.
આઠ ટકા લોકોએ પણ સોનિયા ગાંધી અંગે કહ્યું છે કે તે શ્રેષ્ઠ પ્રધાનમંત્રી રહેશે જ્યારે પાંચ-પાંચ ટકા લોકોએ માયાવતી અને લાલકૃષ્ણ અડવાણી તથા મુલાયમ સિંહ(4 ટકા), નીતિશ કુમાર(3 ટકા) અને મમતા બેનર્જી(3 ટકા)ને સારા પ્રધાનમંત્રી ગણાવ્યા છે.
સર્વેક્ષણના ક્ષેત્રમાં આવતા 60 ટકા લોકોનું સ્પષ્ટપણે એવું માનવું છે કે રાજનૈતિક દળો અને ગઠબંધનોએ લોકસભા ચૂંટણી 2014 પહેલા જ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરત કરી દેવી જોઇએ. સર્વેક્ષણ પ્રમાણે એકવાર ફરી મોદીને પીએમ પદ માટે લીલી ઝંડી મળી છે. જે સ્પષ્ટ કરે છે કે જો બીજેપી પોતાના પીએમ પદના ઉમેદવાર તરીકે મોદીના નામની જાહેરત કરશે તો તેને ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે.