12th June: મણિશંકરની લપસી જીભ, કહ્યું 'મોદી તો કાલનો આવેલો છોકરો છે'
નવી દિલ્હી, 12 જૂન: લોકસભાની ચૂટણી પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે નિવેદનબાજી હજી પણ ચાલુ છે. કૌરવ-પાંડવોની વાત આગળ વધીને 'નવા છોકરા' સુધી આવીને પહોંચી છે. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે.
અય્યરે મોદીને આજકાલનો આવેલો છોકરો ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે મોદી હજી તો કાલનો છોકરો છે. જોશમાં આવીને કઇપણ બોલી જાય છે, તેમને સમજ નથી. મણિશંકર અય્યર નરેન્દ્ર મોદીના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા કે પાંડવોનો વિજયભાવ હજી પણ યથાવત છે. જોકે એ કોઇ પ્રથમ વાત નથી જ્યારે મણિશંકર અય્યરે મોદીને લઇને ટિપ્પણી કરી હોય. ચૂંટણી પહેલા પણ તેમણે મોદીને ચાવાળા કહ્યા હતા, જેનો ભાજપે ભરપૂર ઉપયોગ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે આ પહેલા સંસદમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસને પાંડવો ગણાવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની પાર્ટીની ઓછી બેઠકોના સંદર્ભમાં કહ્યું હતું કે પાંડવો પણ પાંચ હતા. તેમણે જણાવ્યું હતું કે કૌરવો સંખ્યામાં પાંડવો કરતા વધારે હતા, પરંતુ વિજય પાંડવોનો થયો હતો.
કોંગ્રેસ નેતાના આ કટાક્ષનો જવાબ વડાપ્રધાને ખૂબ જ સાદગીપૂર્વક આપ્યો. મોદીએ જણાવ્યું કે પાંડવોનો વિજયોભાવ હજી સુધી ગયો નથી. તેમણે જણાવ્યું કે સંખ્યાબળ ભલે ગમે તેનો હોય, જનમાનસમાં હંમેશા એ ભાવના રહી છે કે પાંડવ જ જીતે.
વધુ સમાચાર જુઓ સ્લાઇડરમાં...
બદાયૂં કેસમાં સીબીઆઇએ દાખલ કર્યો કેસ
બદાયૂંમાં બે બહેનો પર ગેંગરેપ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી અને તેમના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ મામલામાં સીબીઆઇએ આજે આરોપનામુ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે.
આજે વડાપ્રધાનને મળશે અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી મુલાકાત છે.
ફીફા વર્લ્ડકપની આજથી શરૂઆત
આજથી બ્રાઝીલમાં દુનિયાના સૌથી જાણીતી ફૂટબોલ ગેમ ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે.
જીવ જશે તો પણ નહી છોડીએ ઘર
આજે કેમ્પા કોલા ફ્લેટ્સ ખાલી કરવાનો છેલ્લો દિવસ છે. સુપ્રિમ કોર્ટના આદેશ મૂજબ રહેવાસીઓ પોતાના ઘર ખાલી કરવા પડશે. જોકે રહેવાસીઓ આંદોલનના મૂડમાં છે, તેઓ કહે છે કે આજે ભલે જીવ જાય પરંતુ અમે ઘર નહીં ખાલી કરીએ.
મુંબઇમાં હાઇટાઇડ; અનેક વિસ્તારોમાં દરિયાનું પાણી ફળી વળ્યું
આજે મુંબઈમાં સવારના પહોરમાં જ દરિયા દેવે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે દરિયાના વિકરાળ મોજાઓ એટલે કે હાઇ ટાઇડે મુંબઇગરાઓનું ટેન્શન વધારી દીધું હતું.
કેરળમાં નરેન્દ્ર મોદીની નકારાત્મક તસવીર નાખવા બદલ 6ની ધરપકડ
કેરળમાં એક સરકારી પોલિટેક્નિક કોલેજના ચાર વિદ્યાર્થીઓ સહિત છ લોકોને પોતાની કોલેજના મેગેઝિનમાં એડોલ્ફ હિટલર, જ્યોર્જ બુશ, ઓસામા બિન લાદેન અને અન્યોની સાથે ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર નકારાત્મક ચહેરાની એક યાદીમાં મુકી હોવાથી વડાપ્રધાનની માનહાનિ કરવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન વિમાનથી બે હુમલા, 16 આતંકવાદીઓના મોત
પાકિસ્તાનના અશાંત કહેવાતા કબાયલી વિસ્તારમાં પાછલા 24 કલાકમાં બે અમેરિક ડ્રોન વિમાનથી કરવામાં આવેલા હુમલામાં 16 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પ્રકારના હુમલા પાંચ મહિના બાદ થયા છે.