‘નિપાહ વાયરસ’ થી ત્રસ્ત કેરળવાસી, જાણો લક્ષણો અને બચાવ
ભારતમાં અત્યારે ‘નિપાહ વાયરસ' ને કારણે લોકો ચિંતાગ્રસ્ત છે. ‘નિપાહ વાયરસ' એક પ્રકારનો સંક્રમિત રોગ છે. આ વાયરસ એક જાનવરથી ફળોમાં અને ફળો દ્વારા વ્યક્તિઓમાં ફેલાય છે.
ભારતમાં અત્યારે 'નિપાહ વાયરસ' ને કારણે લોકો ચિંતાગ્રસ્ત છે. 'નિપાહ વાયરસ' એક પ્રકારનો સંક્રમિત રોગ છે. આ વાયરસ એક જાનવરથી ફળોમાં અને ફળો દ્વારા વ્યક્તિઓમાં ફેલાય છે. આ ગંભીર સંક્રમણની ઝપેટમાં આવવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે હજુ સુધી આ બિમારીનો કોઈ યોગ્ય ઈલાજ પણ નથી. બચાવ દ્વારા જ આનાથી દૂર રહી શકાય છે.
કેરળવાસી આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત
કેરળવાસીઓ આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અત્યાર સુધીમાં અહી 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસ અંગે ડર ફેલાયો છે. લોકો પાસે આ વાયરસ અંગે ઘણી અધૂરી જાણકારી છે. આ વિશે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર કે. કે. અગ્રવાલે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સ્પષ્ટ કર્યુ કે દિલ્હીવાસીઓને આનાથી ડરવાની જરૂર નથી પરંતુ હા સાવધાન રહેવાની જરૂર છે.
તમને થાક, નબળાઈ કે તાવ લાગે તો તરત ડૉક્ટરને મળો
તેમણે કહ્યુ કે આ ચિંતાનો વિષય જરૂર છે પરંતુ આનાથી ભયભીત થવાની જરૂર નથી. જો તમે કેરળ પ્રભાવિત વિસ્તારમાં રહેતા હોય અને તમને થાક, નબળાઈ કે તાવ લાગે તો તરત જ ડૉક્ટરને મળો અને આમાં જરા પણ બેદરકારી ન દાખવવી.
શું છે ‘નિપાહ વાયરસ’ ?
આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે એટલે કે ‘નિપાહ વાયરસ' ચામાચીડિયાથી ફળોમાં અને ફળોથી માણસો અને જાનવરોમાં ફેલાય છે. આ ખતરનાક વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવાનો પણ ડર રહે છે. ખજૂરના ખેતરોમાં કામ કરતાં લોકોમાં ‘નિપાહ વાયરસ' ફેલાવાનો ડર વધુ હોય છે. જેનાથી મોત પણ થઈ શકે છે. ફ્રૂટ બેટ પ્રજાતિના ચામાચીડિયા આ સંક્રમણને ઝડપથી ફેલાવે છે. આનું કારણ એ છે કે આ એકમાત્ર સ્તનધારી છે જે ઉડી શકે છે. ઝાડ પર લાગેલા ફળોને ખાઈને સંક્રમિત કરી દે છે. આ સંક્રમિત થયેલા ફળો ઝાડ પરથી પડે અને માણસ તે ખાઈ લે તો તે બિમારીની ઝપટમાં આવી જાય છે.
‘નિપાહ વાયરસ’ ના લક્ષણો
‘નિપાહ વાયરસ' ની ઝપટમાં આવનાર વ્યક્તિને ભયંકર તાવ, મગજ કે માથામાં દુઃખાવો, મગજમાં સોજો અને દુઃખાવો, માનસિક ભ્રમ, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. સંક્રમણ વધતા દર્દી કોમામાં પણ જઈ શકે છે. ત્યારબાદ વ્યક્તિનું મોત નીપજે છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમ દ્વારા બહુ જલ્દી ફેલાય છે.
‘નિપાહ વાયરસ’ થી બચાવ
ખજૂર ન ખાવ. ઝાડ પરથી પડેલા ફળ ન ખાવ. ‘નિપાહ વાયરસ' થી સંક્રમિત રોગીથી દૂર રહો. ડુક્કર અને ચામાચીડિયાથી દૂર રહો. ફળો ધોયા વિના ન ખાવ. બહારના કાપેલા ફળ કે જ્યૂસ ન પીઓ.