PM મોદીના ડિનરમાં પ્રણવ મુખર્જી માટે નીતીશ કુમારે આપી હાજરી
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વિદાય સમારંભ તરીકે રાખવામાં આવેલ ડિનરમાં નીતીશ કુમાર પણ હાજર રહ્યાં હતા. વિપક્ષના તેઓ એક માત્ર સીએમ હતા, જે ડિનરમાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માટે શનિવારે રાત્રે વિદાય સમારંભ આયોજીત કર્યો હતો. નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. હૈદ્રાબાદ હાઉસમાં આયોજીત આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આ તમામ વચ્ચે જેની હાજરી સૌના ધ્યાનમાં આવી, એ હતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર.
આ કાર્યક્રમમાં વિપક્ષના એકમાત્ર મુખ્યમંત્રી હતા નીતીશ કુમાર. આ વિદાય સમારંભમાં વિપક્ષના અનેક નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પ્રણવ મુખર્જીને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. પ્રણવ મુખર્જીએ હેદ્રાબાદ હાઉસની વિઝિટર બુક પર હસ્તાક્ષર કરી નોંધ લખી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પ્રણવ મુખર્જી સંસદના સેન્ટ્રલ હોલમાં છેલ્લી વાર તમામ સંસદોને સંબોધિત કરશે. 25 જુલાઇના રોજ રામ નાથ કોવિંદ 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પીએમઓના સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં તમામ મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના મુખ્યમંત્રીઓની આ કાર્યક્રમમાં ભાગ લેવાની કોઇ યોજના નહોતી. મોટા ભાગના રાજ્યોના સીએમઓ અધિકારીઓએ કહ્યું હતું કે, ડિનર માટે રાજધાની જવાની કોઇ યોજના નથી, તો કેટલાકે કહ્યું કે તેમને કોઇ આમંત્રણ નથી મળ્યું.