ગંગાસાગર મેળા પર પ્રતિબંધ નહીં, કુંભ દરમિયાન કોઈ પ્રતિબંધ હતો? : મમતા બેનર્જી
શ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, ગંગાસાગર મેળા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં.
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, ગંગાસાગર મેળા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. તેમણે કેન્દ્ર સરકાર અને ભાજપને પૂછ્યું, શું કુંભ મેળા દરમિયાન (કોવિડ -19 દરમિયાન) કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા?"
આ પહેલા પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જી ગંગાસાગરના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મહંત જ્ઞાનદાસે મુખ્યમંત્રી મમતા બેનર્જીના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે મમતા જે કહે છે તે કરે છે.
વધતા કોરોના કેસ વચ્ચે ગંગાસાગર મેળા પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરતા મમતા બેનર્જીએ શુક્રવારના રોજ પૂછ્યું કે, "અમે ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય દૂરના વિસ્તારોના લોકોને ગંગાસાગર મેળામાં આવતા કેવી રીતે રોકી શકીએ?" ગંગાસાગર મેળો, પશ્ચિમ બંગાળના સાગરદ્વીપમાં યોજાતો સૌથી લોકપ્રિય મેળો પૈકીનો એક, 8 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે. શિયાળા દરમિયાન આયોજિત, ગંગાસાગર મેળો હજારો યાત્રાળુઓને આકર્ષે છે, જ્યાં તેઓ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી મારે છે.
મંગળવારના રોજ મમતા બેનર્જીએ ગંગાસાગર મેળા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકમાં હાજરી આપી હતી. અધિકારીઓને કોવિડ 19 સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. પ્રશાસન યાત્રાળુઓની હિલચાલ પર નજર રાખવા અને ભીડને ટાળવા માટે સીસીટીવી અને ડ્રોન તૈનાત કરશે.
ઓમિક્રોન ખતરાને ધ્યાનમાં રાખીને તૈનાત ડ્રોન ભીડ વ્યવસ્થાપન તેમજ સામાજિક અંતરના પગલાં પર નજર રાખવામાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં કોવિડ 19ની સ્થિતિ કથળી રહી છે. કારણ કે, રાજ્યમાં 177 દિવસના અંતરાલ બાદ બુધવારના રોજ દૈનિક 1,000 થી વધુ કેસ નોંધાયા હતા. સત્તાવાર અહેવાલોમાં જણાવાયું છે કે, કોલકાતામાં 540 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 16,32,906 થઈ ગઈ છે.
બુધવારના રોજ વધુ 12 દર્દીઓના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 19,745 થયો હતો. છેલ્લા 24 કલાકમાં, 807 પુનઃપ્રાપ્તિ નોંધવામાં આવી હતી. જો કે, ડિસ્ચાર્જ દર ઘટીને 98.32 ટકા થયો હતો.