ભારતને MFN દરજ્જો આપવાની તત્કાળ કોઇ યોજના નથી : પાકિસ્તાન
નવી દિલ્હી, 13 ઓગસ્ટ : ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતને સૌથી વધારે પસંદગીવાળો દેશ (મોસ્ટ ફેવર્ડ નેશન)નો દરજ્જો આપવાની હાલમાં કોઇ ઇચ્છા નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના અત્યંત નજીક ગણાતા મોહમ્મદ ઇસહાક ડારે જીઓ ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "અમે વર્તમાન સમયમાં ભારતને એમએફએન દરજ્જો આપવા અંગે કોઇ વિચાર કરી રહ્યા નથી. અમારે પહેલા બીજી બાબતોને સામાન્ય બનાવવાની જરૂર છે." ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો વધારવા માટે ભારતે વર્ષ 1996માં જ પાકિસ્તાનને એમએફએનનો દરજ્જો આપી દીધો હતો. પાકિસ્તાને આ વર્ષના જાન્યુઆરી સુધીમાં ભારતને એમએફએનનો દરજ્જો આપવાનો હતો.
ડારે વધુમાં જણાવ્યું કે ભારતના કેટલાક તત્વો બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે સપ્ટેમ્બરમાં ન્યુયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસભા દરમિયાન પ્રસ્તાવિત વાતચીતમાં અવરોધ ઉભા કરી તેને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે બંને દેશોના સંબંધ બગાડવાની અને બંને દેશોના વડાપ્રધાન વચ્ચે યોજાનારી વાતચીતને અટકાવવાનું કોઇ ષડયંત્ર છે તો તે ખેદજનક છે. આપણે પાડોશી બદલી શકીએ એમ નથી, એટલે શાંતિથી રહેવાની જરૂર છે.
ભારતે પાકિસ્તાનની સેના પર સીમા રેખા પર ગોળીબાર કરીને પાંચ ભારતીય સૈનિકોને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. જો કે પાકિસ્તાને આ આરોપનું ખંડન કર્યું હતું. આમ છતાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર ચાલુ રાખવામાં આવ્યો છે.