મોદીની નથી અસર, નથી લહેર માત્ર ઝેર છે: કોંગ્રેસ પ્રવક્તા
નવી દિલ્હી, 7 નવેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની કોઇ અસર નથી અને કોઇ લહેર નથી, આ માત્ર ઝેર છે. તેમણે આ વાત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કરેલા એક નિવેદન પર કહી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જનતા પર મોદીનો પ્રભાવ જરૂર છે, પરંતુ તેને મોદીની લહેર ના કહી શકાય.
મીમ અફઝલે મોદીની સુરક્ષાના સંબંધમાં સવાલ ઉઠાવતા જણાવ્યું કે ભાજપને માત્ર મોદીની ચિંતા છે, તેમની રેલિયોમાં આવનાર જનતાની ચિંતા નથી. સત્ય તો એ છે કે તેઓ વડાપ્રધાન બન્યા વગર જ સુરક્ષા વ્યવસ્થાના દમ પર પીએમ દેખાવા માગે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે મોદીને હવાથી ભરેલા ફુગ્ગા સાથે સરખાવ્યા હતા અને જણાવ્યું હતું કે ચૂંટણી હારી જઇશું તો તેમના માટે બધું જ ખતમ થઇ જશે.
જેમજેમ ચૂંટણી નજીક આવતી દેખાઇ રહી છે, કોંગ્રેસ નેતાઓના મોદી પર પ્રહારો વધતા જઇ રહ્યા છે. કેટલાંક કોંગ્રેસી નેતાઓનું માનવું છે કે મોદીનો પ્રભાવ જનતામાં છે તો કેટલાંક તેને નકારી રહ્યા છે.