નરેન્દ્ર મોદીને વિઝા નહીં; US અધિકારીનો સખત વિરોધ
વૉશિંગ્ટન, 17 ઓગસ્ટ : એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયા અને બ્રિટન તરફથી મુલાકાતનું અને વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળી રહ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદીને આ દેશના વિઝા મળશે. બીજી તરફ અમેરિકાના વિઝા મેળવવાની રાહ નરેન્દ્ર મોદી માટે વધારે કઠિન બની છે. યુએસના વિઝા મેળવવા માટે તેમને હજું રાહ જોવી પડે એમ છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીને મોદી અમેરિકા આવે તેની સામે વાંધો છે. વર્ષ 2002માં ગુજરાતના રમખાણો મુદ્દે મોદીની ભૂમિકાને લઈને તેઓ ખૂબ ગંભીર છે.
યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમના ઉપપ્રમુખ કેટરિના લેન્ટોસ સ્વેટ્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2002ના રમખાણો મુદ્દે મોદીની ભૂમિકાને લઈને તેઓ ગંભીર હોવાથી મોદીને અમેરિકાના વિઝા નહીં આપવામાં આવે. યુએસ સરકારનું આ કમિશન ધાર્મિક સ્વતંત્રતાના ભંગ અંગેની ઘટનાના તથ્યોની સમીક્ષા કરે છે. સમીક્ષાને આધારે તેઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તેમજ સ્ટેટ અને કોંગ્રેસ સચિવને ભલામણ માટેની નીતિ તૈયાર કરી મોકલી આપે છે.

તેમણે જણાવ્યું કે "આ મુદ્દે હજું ઘણા સવાલોના જવાબ વણઉકેલ્યા છે. મોદીની ઉપર ઘણા ગંભીર આરોપો છે." આગામી લોકસભામાં મોદીને વડાપ્રધાન પદ બનવા અંગે પૂછાયેલા સવાલમાં કટરિના લેન્ટોસ સ્વેટ્ટે જણાવ્યું કે "તેઓ વડાપ્રધાન બને કે નહીં તે ભારતની આંતરિક બાબત છે."












Click it and Unblock the Notifications
