વધતી નફરત મુદ્દે રાહુલ ગાંધીનું મોટુ નિવેદન, કહ્યું- નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું
રાહુલ ગાંધીએ અલવરમાં મોટુ નિવેદન આપતા કહ્યું કે, હું નફરતના બજારમાં પ્રેમની દુકાલ ખોલી રહ્યો છું
અલવર : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા પર છે અને ભારત ભ્રમણ કરતા કરતા બીજેપી પર સતત પ્રહારો કરી રહ્યા છે. 100 દિવસથી વધુનો પ્રવાસ કરીને ભારત જોડો યાત્રા હાલ કન્યાકુમારીથી રાજસ્થાન સુધી પહોંચી છે અને કાશ્મીર જઈ રહી છે. રાજસ્થાનમાં 16 દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પ્રવાસ કરી રહી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ હવે બીજેપી પર પ્રહારો કર્યા છે.

રાજસ્થાનના અલવરમાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ખોલી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે અહીથી ગેહલોત સરકારે જાહેરાત કરી છે કે, ઉજ્જવલા યોજના અંતર્ગત આવતા પરિવારોને રાજસ્થાન સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ભાજપના લોકો ખરાબ નથી લાગતા. હું રસ્તે જાઉ છુ ત્યારે તેઓ ઇશારો કરીને પૂછે છે કે તમે શું કરો છો? હું તેમને જવાબ આપવા માંગુ છું કે હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું. આવો, તમે પણ બજારમાં પ્રેમની દુકાન ખોલો. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, આંબેડકર બધાએ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી હતી.
અહીં રાહુલ ગાંધી બીજેપીને લઈને આક્રમક જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે, બીજેપીના નેતાઓ જ્યાં જાય છે ત્યાં અંગ્રેજી વિરુદ્ધ બોલે છે. શાળાઓમાં અંગ્રેજી ન ભણાવવું જોઈએ. ક્યારેક તમે તેમને પૂછો કે તેમનો દીકરો કઈ સ્કૂલમાં ભણે છે? તેમના તમામ CM, MP, MLAના બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓ ભણે છે. ભાજપના નેતાઓ નથી ઈચ્છતા કે શાળાઓમાં અંગ્રેજી ભણાવવામાં આવે. પરંતુ તેમના તમામ નેતાઓના બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જાય છે. હકીકતમાં તેઓ નથી ઈચ્છતા કે ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો અંગ્રેજી શીખે, મોટા સપના જુએ અને ખેતરોમાંથી બહાર નીકળે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, જો તમે બાકીના વિશ્વ સાથે વાત કરવા માંગો છો તો હિન્દી નહીં અંગ્રેજી ચાલશે. અમે ઈચ્છીએ છીએ કે ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો અમેરિકનો સાથે સ્પર્ધા કરે અને તેમની ભાષાનો ઉપયોગ કરીને તેમના પર વિજય મેળવે. મને ખુશી છે કે રાજસ્થાનમાં 1700 અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે. હું એમ નથી કહેતો કે હિન્દી કે અન્ય ભાષાઓ ન શીખવી જોઈએ, પરંતુ જો તમારે દુનિયાના અન્ય દેશો સાથે વાત કરવી હોય તો ત્યાં હિન્દી નહીં ચાલે, ત્યાં માત્ર અંગ્રેજી જ ચાલશે.
અહીં રાહુલ ગાંધીની હાજરીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતે કહ્યું કે, હું આવતા મહિને બજેટ રજૂ કરીશ અને તેમાં જાહેરાત કરીશ કે જે લોકો BPL અને ઉજ્જવલા યોજના હેઠળ આવે છે તેમને 1 એપ્રિલથી 500 રૂપિયા'માં LPG સિલિન્ડર મળશે. 1 એપ્રિલથી અમે એક વર્ષમાં 1,040 રૂપિયાના 12 ઘરેલું સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. મોંઘવારી સામે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું.












Click it and Unblock the Notifications
