ICJના ચુકાદા બાદ ઝૂક્યુ પાકિસ્તાન, કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાનું એલાન
કુલભૂષણ જાધવ કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ (ICJ) ના ચુકાદા બાદ છેવટે પાકિસ્તાને જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાનો નિર્ણય લીધો છે.
કુલભૂષણ જાધવ કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ (ICJ) ના ચુકાદા બાદ છેવટે પાકિસ્તાને જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યુ છે કે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવામાં આવશે જેથી તે ભારતના અધિકારીઓ અને રાજદૂતો સાથે મુલાકાત કરી શકે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આઈસીજેના ચુકાદા બાદ કમાંડર કુલભૂષણ જાધવને તેમના અધિકારો વિશે વિએના કન્વેન્શન હેઠળ આર્ટિકલ 36, પેરેગ્રાફ 1(બી) અનુસાર કાઉન્સિલર એક્સેસ વિશે સૂચના આપી દેવામાં આવી છે. એક જવાબદાર દેશ હોવાના નાતે પાકિસ્તાન કુલભૂષણ જાધવને પાકિસ્તાનના કાયદા અનુસાર કાઉન્સિલર એક્સેસ આપશે.
આઈસીજેએ કહ્યુ પાકે કર્યુ વિએના કન્વેન્શનનું ઉલ્લંઘન
આ પહેલા આઈસીજેના ચુકાદા બાદ ભારતે કહ્યુ હતુ કે પાકિસ્તાને આઈસીજેના ચુકાદાનું પાલન કરવુ જોઈએ. પાકિસ્તાને તરત જ કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ પૂરી પાડવી જોઈએ. તમને જણાવી દઈએ કે આઈસીજેએ પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે ભારતના પૂર્વ નૌસેના અધિકારીને કાઉન્સિલર એક્સેસ નહિ આપીને પાકિસ્તાને વિએના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યુ છે. ભારત તરફથી આઈસીજેના ચુકાદા પહેલા પાકિસ્તાન પાસે ઘણી વાર કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની માંગણી કરવામાં આવતી રહી છે પરંતુ પાકિસ્તાન શરૂઆતથી કાઉન્સિલર એક્સેસ આપવાનો ઈનકાર કરતુ રહ્યુ છે.
જાધવને મુક્ત કરે પાકિસ્તાન
આ પહેલા ગુરુવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ સમગ્ર મામલે સંસદમાં ભારતનો પક્ષ રાખ્યો. આ દરમિયાન તેમણે કહ્યુ કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને મુક્ત કરીને ભારત મોકલી દેવા જોઈએ. જયશંકરે કહ્યુ કે આઈસીજેનો આ ચુકાદો માત્ર ભારત માટે નહિ પરંતુ એ બધા માટે પ્રામાણિકતાનો પુરાવો છે જે કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. જયશંકરે કહ્યુ કે પાકિસ્તાને અમને કુલભૂષણ સાથે વાત કરવા, મુલાકાત અને કાયદાકીય મદદ પહોંચાડવાથી રોક્યા છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. કોઈ નિર્દોષ વ્યકિત પાસે બળજબરીથી કબૂલ કરાવવાથી સત્ય બદલાઈ નથી જતુ. અમે એક વાર ફરીથી પાકિસ્તાનને કહીએ છીએ કે કુલભૂષણને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
જાધવના પરિવાર સાથે સરકાર
વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ કે સરકાર જાધવના પરિવાર સાથે ઉભી છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમતથી કામ લીધુ. હું તેમને વિશ્વાસ અપાવુ છુ કે સરકાર તેમની સુરક્ષા અને દેખરેખ સુનિશ્ચિત કરવા સાથે તેમને જલ્દી ભારત લાવવાની કોશિશ કરશે. આ સંસદમાં કુલભૂષણની સજા સામે આઈસીજેમાં અપીલ કરવા પર સંમતિ બની હતી. હવે કોર્ટે પાકિસ્તાનને નિર્દેશ આપ્યા છે કે કુલભૂષણને તરત જ કાઉન્સિલર એક્સેસ આપવામાં આવે.
આ પણ વાંચોઃ IMA પોંઝી સ્કેમનો મુખ્ય આરોપી મંસૂર ખાન પકડાયો, 25 હજાર મુસ્લિમોને ઠગ્યા