પાકિસ્તાની PM નવાઝ શરીફે ઘડ્યું કાશ્મીર હુમલાનું કાવતરું?
નવી દિલ્હી, 7 ઓગસ્ટ : પૂંચ વિસ્તારમાં ભારતીય ચોકી પર હુમલો કરીને પાંચ ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતારવાનું નાપાક કાર્ય પાકિસ્તાનો કર્યું છે. આ છતાં પાકિસ્તાન સરકારે ઇનકાર કર્યો છે કે આ હુમલા પાછળ તેમનો હાથ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારત પર હુમલો કરવો એ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ‘કે' પ્લાનનો ભાગ છે. એક અંગ્રેજી દૈનિકમાં થયેલા ખુલાસા પ્રમાણે નવાજ શરીફ સરકારે કશ્મીર મુદ્દો ફરી ઉઠાવવાની રણનીતિ બનાવી છે.
ત્રીજી વાર પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા નવાઝ શરીફે કાશ્મીર મુદ્દાને પોતાના એજન્ડામાં મુખ્ય સ્થાન આપ્યું છે. તેઓ આ મુદ્દે ભારત સરકારને દબાણમાં લાવવા માગે છે. આથી તેમણે ગાદી સંભાળતાની સાથે જ કશ્મીર માટે એક ખતરનાક પ્લાન ઘડ્યો છે

અંગ્રેજી અખબાર પ્રમાણે સાઉથ બ્લોકના વરિષ્ઠ અધિકારીઓની કેટલીક નોટ્સ સિરીઝ હાથ લાગી છે, જેમાં કહેવાયું છે કે શરીફે કશ્મીર મુદ્દો ઉછાળવાની વ્યુહરચના ઘડી છે. નવાઝ શરીફના આ ‘કે' પ્લાન અનુસાર વડાપ્રધાન કાર્યાલયને અલગથી કશ્મીર સેલ બનાવવા જણાવવામાં આવ્યું છે. કશ્મીર મુદ્દે આગામી બધી જ વ્યુહરચના આ સેલ દ્વારા નક્કી કરવામાં આવશે. આ સેલના અધિકારીઓ સીધા વડાપ્રધાન શરીફને રિપોર્ટ કરે છે. શરીફે પોતાના સલાહકારો અને પક્ષના નેતાઓને આ મુદ્દો જોરશોરથી ઉપાડવા માટે કહ્યું છે. જોકે તેમનો નિર્દેશ છે કે આ મુદ્દે તેમની અને પ્રધાનોની ભૂમિકા જાહેર ન થવી જોઈએ.
ભારત સરકારને મળેલી માહિતી પ્રમાણે કશ્મીર સેલનું મુખ્ય કામ કશ્મીર વિરુદ્ધ પ્રચાર અભિયાન પર ધ્યાન આપવાનું છે જેથી કશ્મીર મુદ્દો સતત સમાચારોમાં ચમક્યા કરે. આ માટે તેમણે વધુ કેટલીક સૂચનાઓ જાહેર કરી છે જે અનુસાર
- ન્યૂયોર્કમાં યોજાનારી યુએનની સામાન્ય સભામાં ભારતના વડાપ્રધાન સમક્ષ નરમપંથી દેશ તરીકે રજૂ થવું.
- આંતરરાષ્ટ્રીય સ્તરે કશ્મીર મુદ્દો ઉઠાવવો અને તેમાં સરકારની ભૂમિકાને નકારવી.
- ISIને કશ્મીર મુદ્દે પ્રચાર કરવા માટે બ્રસેલ્સ, લંડન, વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને ટોરેન્ટોમાં કશ્મીર સેલને સક્રિય કરવાનો નિર્દેશ.
- NGO અને કશ્મીર સમર્થિત સંગઠનો દ્વારા આ પ્રચારને વેગ આપવો.
- પ્રચાર માટે ભંડોળ ઘટે નહીં તેની ISIને તાકીદ.
- સરકારના કોઈ પણ વિભાગ કે પ્રધાને ભારત વિરોધી નિવેદન કરવાથી બચવાનો નિર્દેશ.
- હાફિજ સઇદ જેવા આતંકવાદીઓને ભારત વિરોધી પ્રચાર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પ્રોત્સાહન આપવું.
- સરહદીય વિસ્તારોમાં ઘૂષણખોરી ઘટાડવી પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવાનો નિર્દેશ
- ઘાટીમાં વધતી આતંકવાદી ઘટનાઓને પ્રદેશિક રંગ આપવાના નિર્દેશ.
- ભારત સાથે કશ્મીર મુદ્દે વાતચીતની પહેલ કરી ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણનો પ્રયાસ.
- યુરોપ અને અમેરિકામાં સક્રિય કાશ્મીરી સંગઠનો દ્વારા ભારત પર દબાણ વધરવાના પ્રયાસ કરવા.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક મળી રહી છે. આ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનની બેઠક પણ થશે. આ મુલાકાત માટે બંને દેશો આશાવાદી છે. છતાં સાઉથ બ્લોક ચિંતિત છે. સાઉથ બ્લોકનું માનવું છે કે ઇસ્લામાબાદમાં કોઈ પણ પ્રકારની વાત કરતા પહેલા નવાઝ શરીફના કશ્મીર પ્લાન પર નજર રાખવી મહત્વની છે.












Click it and Unblock the Notifications
