અગાઉની સરકારોના વિકાસ કાર્યોનુ થશે ફિઝિકલ વેરિફિકેશનઃ પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ
ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનુ નિરીક્ષણ અને ફિઝિકલ વેરિફિકેશન કરાવવાનો નિર્ણય લીધો છે.
પંજાબ સમાચારઃ ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનુ નિરીક્ષણ અને ફિઝિકલ વેરિફિકેશન કરાવવાનો નિર્ણય લીધો છે. મંત્રીએ માહિતી આપતા જણાવ્યુ કે ગ્રામ વિકાસ વિભાગ પાસે રોજેરોજ લોકો અગાઉની સરકાર દરમિયાન વિકાસના કામોમાં ગેરરીતિની ફરિયાદો કરતા આવ્યા છે. ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ચરણજીત સિંહ ચન્નીના વર્તુળોમાં, ઉપરાંત ઘણા પૂર્વ મંત્રીઓના વિકાસ કાર્યોમાં ગરબડને લઈને ઘણા ફરિયાદો આવી ચૂકી છે. જે બાદ 46 મોટા બ્લૉકના વિકાસ કામોનુ ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે.
મંત્રી ધાલીવાલે જણાવ્યુ હતુ કે વિભાગની કામગીરીની સમીક્ષા કરતી બેઠક દરમિયાન ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા એવુ સૂચન કરવામાં આવ્યુ હતુ કે વિકાસના કામોનુ નિરીક્ષણ કરાવવુ જોઈએ અને કામોનુ ફિઝિકલ વેરિફિકેશન કરાવવુ જોઈએ.
કુલદીપ ધાલીવાલે જણાવ્યુ કે, વિભાગે પ્રથમ રાઉન્ડમાં રાજ્યના 46 મોટા બ્લૉકમાં વિકાસ કાર્યોનુ ફિઝિકલ વેરિફિકેશન કરવાનો નિર્ણય લીધો છે. આ નિરીક્ષણ માટે વિભાગે 17 નાયબ ચીફ એક્ઝિક્યુટિવ અધિકારીઓને આદેશો જાહેર કર્યા છે અને તેમને ત્રણ મહિનામાં ગ્રામ પંચાયત મુજબ વિભાગને અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે. જેથી ગેરરીતિ સામે યોગ્ય પગલાં લઈ શકાય.