બોમ્બે હાઇકોર્ટમાં નરેન્દ્ર મોદી સરકાર સામે વચનભંગનો આરોપ લગાવતી જનહિત અરજી
મુંબઇ, 27 જૂન : નરેન્દ્ર મોદી સરકારને હજી એક મહિનો પૂરો થયો છે. પાંચ વર્ષમાં જનલક્ષી કર્યોના વચન આપીને સત્તા પર આવેલી ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકાર સામે એક મહિનામાં જ રોષ ફાટી નીકળ્યો છે. તેનો તાજો દાખલો બોમ્બે હાઇકોર્ટમાં નરેન્દ્ર મોદી સરકાર સામે દગો દેવા બદલ નોંધાવવામાં આવેલી જાહેર હિતની અરજી છે.
મુંબઇ સ્થિત એક સંસ્થા 'ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ સિટિઝન્સ વેલ્ફેર કોર કમિટી'એ પોતાની અરજીમાં નરેન્દ્ર મોદી સરકાર સામે વચનભંગનો આરોપ લગાવતા સવાલ કર્યો છે કે શું આ જ છે મોદીના અચ્છે દિન?
'ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ સિટિઝન્સ વેલ્ફેર કોર કમિટી' અને તેના સ્થાપક એડવોકેટ એમ વી હોલમાગીએ બોમ્બે હાઇકોર્ટમાં કરેલી પીઆઇએલમાં નવી સરકારે કરેલા રેલવે ભાડામાં વધારા તેમજ અન્ય વસ્તુઓના ભાવમાં કરેલા વધારાને 'ગુનાઇત વિશ્વાસભંગ' ગણાવ્યો છે.
આ અંગે બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ અભય ઓકા અને એ ચાંદપરકરની ખંડપીઠે જણાવ્યું છે કે 'કોર્ટ રેલવે ભાડામાં થયેલા વધારા સંબંધિત એક પીઆઇએલ અગાઉ પણ નકારી ચૂકી છે. વહીવટી કાર્યાલયે અરજીમાં કેટલાક વાંધા પણ ઉઠાવ્યા છે. તેને દૂર કરવા પડે એમ છે.'
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સરકાર સામે કરવામાં આવેલી પીટિશનમાં હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે આપેલા વચનો પુરાં નહીં કરી શકનારી સરકાર પાસેથી રાજીનામુ લઇ લેવામાં આવે. આ અરજીમાં વડાપ્રધાન, તેમના મંત્રીમંડળ અને ભાજપ સામે આરોપો મુકવામાં આવ્યા છે.
અરજી કરનારા હોમાલગીએ જણાવ્યું હતું કે 'અચ્છે દિન આને વાલે હૈની વાતો કરીને નરેન્દ્ર મોદીએ વ્યાપક જનસમર્થન તો મેળવી લીધું છે, પરંતુ સત્તામાં આવ્યાના એક જ મહિનામાં રેલવેમાં ભાડા વધારો કર્યો છે. સરકારે પોતાના વચન પૂરા કર્યા નથી આથી જનતાને ફેરવિચારની તક મળવી જોઇએ.'