વડાપ્રધાન મોદી છઠ્ઠી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, રાજ્યને મળશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરના રોજ છત્તીસગઢ બિલાસપુરથી નાગપુર (મહારાષ્ટ્ર) રૂટ પર ચાલતી દેશની છઠ્ઠી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. ભારતીય રેલવેના અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરના રોજ છત્તીસગઢ બિલાસપુરથી નાગપુર (મહારાષ્ટ્ર) રૂટ પર ચાલતી દેશની છઠ્ઠી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. ભારતીય રેલવેના અધિકારીએ આ અંગે માહિતી આપી છે. રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ સાથે લગભગ સાડા પાંચ કલાકમાં મુસાફરીનો એક ટ્રીપ પૂરી કરશે. બિલાસપુર-નાગપુર વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન PM મોદી દ્વારા રવિવારના રોજ નાગપુરમાં કરવામાં આવશે.
આ અંગે રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રેન બિલાસપુરથી સવારે 6.45 કલાકે ઉપડશે અને લગભગ 12.15 કલાકે નાગપુર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નાગપુરથી બપોરે 2 કલાકે ઉપડશે અને સાંજે 7.35 કલાકે બિલાસપુર પહોંચશે. હાલમાં સુપરફાસ્ટ ટ્રેનોને નાગપુર પહોંચવામાં લગભગ સાત કલાક જેટલો સમય લે છે, જોકે વંદે ભારત ટ્રેન આ અંતર કાપવા માટે લગભગ સાડા પાંચ કલાકમાં કાપશે.
અન્ય રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનનું સંચાલન દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) દ્વારા કરવામાં આવશે અને તેનું રાયપુર, દુર્ગ અને ગોંદિયા ખાતે સ્ટોપ હશે. 2023માં સિકંદરાબાદ અને વિજયવાડા વચ્ચે બીજી વંદે ભારત ટ્રેન શરૂ થવાની સંભાવના છે. નવી જનરેશનની વંદે ભારત ટ્રેનનું સૌપ્રથમવાર મુંબઈ-અમદાવાદ રૂટ પર આ વર્ષે ઓકટોબરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેલવે આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં 75 વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય ધરાવે છે.
સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનના તમામ કોચ ઓટોમેટિક દરવાજા, GPS-આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, મનોરંજનના હેતુઓ માટે ઓનબોર્ડ હોટસ્પોટ Wi-Fi અને આરામદાયક બેઠકોથી સજ્જ છે. જોકે, પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.