જાપાનની મુલાકાત લઇને મોદી શરૂ કરશે વૈશ્વિક કૂટનીતિ
ગાંધીનગર, 21 મે : નરેન્દ્ર મોદી 26 મેના રોજ શપથ લીધા બાદ પોતાની પ્રથમ મુલાકાત માટે અમેરિકાને બદલે જાપાનને પસંદ કર્યું છે. આ સાથે તેમણે વૈશ્વિક કૂટનીતિ શરૂ કરી છે. રાજીકીય નિષ્ણાતોનું માનવું છે કે દેશના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓબામા સરકાર અસહજતા અને જાપાન, ચીન સાથેની નિકટતા વિદેશી રણનીતિમાં પણ ઝળકવા લાગી છે.
વડાપ્રધાન બન્યા બાદ અમેરીકા જવાનો નિર્ણય લેતા પહેલા મોદી જાપાન, ચીન કે રશિયાની યાત્રા કરી શકે છે. એ વાત કોઇથી અજાણ નથી કે અમેરીકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોદી સાથેના સંબંધો સામાન્ય બનાવવા અને કડવાશ દૂર કરવામાં ઘણું મોડું કરી દીધું છે.
આ અંગે આજે ભારતમાંથી વિદાય લઇ રહેલા અમેરિકન રાજદૂત નેન્સી પોવેલે પણ સંબંધો પર જામેલી ધૂળ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા, જો કે નરેન્દ્ર મોદી અને અમેરિકા વચ્ચે સંબંધો પૂર્વવત બનાવી શકવામાં સફળ રહ્યા નથી.
હાલમાં ભાજપ અને એનડીએ એવો સંકેત આપવા માંગતા નથી કે ઓબામા સરકાર સાથે બને એટલા જલ્દી સંબંધ સુધારવા મોદી આતુર છે. પાર્ટી અને રાજકીય સૂત્રો અનુસાર જાપાનના વડાપ્રધાન શિંજો અબે સાથે મોદીની ઘનિષ્ઠતા તેની વિદેશ નીતિમાં ઝળકી શકે છે અને તેઓ પહેલી વિદેશ યાત્રા પર જાપાન જઇ શકે છે.
આ મુલાકાત અંગે ભારતના વિદેશ સચિવ સુજાતા સિંહે હાલમાં જાપાનની યાત્રા કરી અને વિદેશ મંત્રાલય નવા વડાપ્રધાન માટે પહેલા જ આને સંબંધિત દસ્તાવેજ તૈયાર કરી ચૂક્યાં છે. હકીકતમાં દેશની તકદીર બદલવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોદી સ્થિર વિદેશ નીતિ ઇચ્છશે.
આ સાથે જાપાન, ઇઝરાયેલ અને શ્રીલંકા સહિત પાડોશી દેશોની સાથે વ્યુહાત્મક ભાગીદારી મજબૂત બનાવવાના પ્રયાસ કરશે. હકીકતમાં નેપાળ, પાકિસ્તાન, માલદ્વીવ સહિત લગભગ તમામ પાડોશી દેશો સાથે ભારતના સંબંધો એટલા સારા નથી. જેનાથી દક્ષિણ એશિયામાં તેની વ્યુહાત્મક નીતિ પર સવાલ ઉભા થાય છે.
ભાજપના એક સૂત્રના જણાવ્યા અનુસાર જાપાનના વડાપ્રધાન અને સીઇઓની સાથે મોદીને સારા સંબંધ છે. એવામાં આર્થિક મંદીને દૂર કરવા માટે મોદી તેઓને ભાગીદાર બનાવવા ઇચ્છશે. જાપાનની નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓની મદદથી મોદી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને ગતિ આપવા માંગે છે. એવામાં તેઓ પહેલી વિદેશ યાત્રા પર જાપાન જઇ શકે છે.
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સારું બનાવવામાં જાપાન મદદગાર સાબિત થઇ શકે છે. તે ભારત સાથેના વેપારને ટોચ પર લઇ જવા માંગે છે. ભારતની જેમ જાપાન પણ ચીનને ક્ષેત્રીય અને આર્થિક વિસ્તારવાદી નીતિ પર શંકાસ્પદ વલણ ધરાવે છે.
ટોક્યો અને દિલ્હી એકબીજાના રક્ષા ક્ષેત્રને મજબૂત બનાવી શકે છે. સાથે જે દેશો ચીનની રાષ્ટ્રવાદી નીતિથી ત્રસ્ત તે દેશોમાં પણ આત્મવિશ્વાસ પેદા કરી શકે છે. આ રીતે મોદી રશિયાની યાત્રા પર પણ જઇ શકે છે. રશિયા લાંબા સમયથી ભારતનું મિત્ર રહ્યું છે.